કૌભાંડનો પર્દાફાશ, ખોટા ટ્રસ્ટીઓનું કારસ્તાન
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન (Gaikwad Haveli Police Station) માં ફરિયાદ નોંધાઈ, જેમાં જણાવાયું કે આરોપીઓએ ગુજરાત વક્ફ બોર્ડ (Gujarat Waqf Board) ની મંજૂરી વિના પોતાને ટ્રસ્ટી તરીકે રજૂ કરીને ભાડું ઉઘરાવ્યું. મુખ્ય આરોપી સલીમ ખાન પઠાણે જુલાઈ 2024માં વક્ફ બોર્ડને ખોટું સોગંદનામું રજૂ કરીને પોતાને ટ્રસ્ટી હોવાનો દાવો કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે સલીમ ખાનનો અગાઉ હત્યા અને રમખાણો જેવા ગુનાઓમાં ગુનાહિત રેકોર્ડ છે. આરોપીઓએ 2005થી 2025 સુધી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખી, જેમાં તેમણે વક્ફની જમીન પર 200થી વધુ મકાનો અને 25થી 30 દુકાનો ગેરકાયદે બાંધી અને ભાડું વસૂલ્યું.
ગેરકાયદે બાંધકામ અને ભાડાની ઉઘરાણી
આરોપીઓએ વક્ફ બોર્ડની જમીનનો દુરુપયોગ કરીને લગભગ 15 રહેણાંક મિલકતો, 200 જેટલાં મકાનો (જેમાં બે ગેરકાયદે બાંધેલી 6 માળની ઇમારતોનો સમાવેશ થાય છે) અને 25થી 30 દુકાનો બનાવી. આ મિલકતોમાંથી તેમણે દર મહિને નોંધપાત્ર ભાડું ઉઘરાવ્યું, જેમાં દરેક મકાન માટે 5,000થી 7,000 રૂપિયા અને દુકાન દીઠ 10,000 રૂપિયા સુધીની રકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરોપીઓએ શાહ બદા કાસમ ટ્રસ્ટના દાન પેટીમાંથી દર મહિને લગભગ 50,000 રૂપિયા પણ ગેરકાયદે ઉઘરાવ્યા. આ રીતે, 100 કરોડ રૂપિયાની કિંમતની વક્ફ સંપત્તિનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કરવામાં આવ્યો, જે વક્ફના ધાર્મિક અને સેવાકીય હેતુઓનું ઉલ્લંઘન છે.
સ્કૂલની જગ્યાએ દુકાનો: શિક્ષણનો ભોગ
આ કૌભાંડનો એક ચોંકાવનારો પાસું એ છે કે વક્ફ બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને ઉર્દૂ શાળા બનાવવા માટે જમીન આપી હતી. આ શાળાનું માળખું 2001ના ભૂકંપમાં નુકસાન પામ્યું હતું અને 2009માં તેને તોડી પાડવામાં આવ્યું હતું. જોકે, શાળાનું પુનઃનિર્માણ કરવાને બદલે, આરોપીઓએ આ જમીન પર ગેરકાયદે 10 દુકાનો બનાવી દીધી, જેમાંથી એક દુકાનનો ઉપયોગ સલીમ ખાને તેની ‘સોદાગર કન્સ્ટ્રક્શન’ નામની ઓફિસ માટે કર્યો. આ દુકાનોમાંથી ભાડું ઉઘરાવીને આરોપીઓએ નાણાંકીય લાભ મેળવ્યો, જે ન તો ટ્રસ્ટના ખાતામાં જમા થયો કે ન તો AMCને આપવામાં આવ્યો. આ ઘટનાએ શિક્ષણ જેવા મહત્વના હેતુ માટે આપેલી જમીનના દુરુપયોગને ઉજાગર કર્યો છે.
પોલીસ તપાસ અને ફરિયાદ
આ ગેરકાયદે પ્રવૃત્તિનો ખુલાસો ત્યારે થયો જ્યારે ભાડાની ઉઘરાણીને લઈને ભાડૂઆતો અને આરોપીઓ વચ્ચે ટક્કર થઈ. કાંચની મસ્જિદ ટ્રસ્ટના ભાડૂઆત મોહમ્મદ રફીક અન્સારીએ આ મામલે ફરિયાદ નોંધાવી, જેમાં આરોપીઓની ગેરકાયદે પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વક્ફ બોર્ડનો અભિપ્રાય લીધા બાદ, ગાયકવાડ હવેલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપ હેઠળ FIR નોંધી. પોલીસે આરોપીઓને સાથે રાખીને ટ્રસ્ટની ઓફિસમાં તપાસ હાથ ધરી, જેમાં ગેરકાયદે બાંધકામો અને ભાડા ઉઘરાણીના પુરાવા મળ્યા. ઝોન 3ના ઇન્ચાર્જ ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું કે આરોપીઓએ લગભગ 5,000 ચોરસ મીટરની જમીન પર ગેરકાયદે બાંધકામો કર્યા, જેની કિંમત 100 કરોડ રૂપિયા જેટલી છે.
આ પણ વાંચો : Dawoodi Bohra સમાજના આગેવાનોની PM મોદી સાથે મુલાકાત, વક્ફ કાયદા માટે માન્યો આભાર