Ahmedabad: આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, 2 મજૂરના મોત
- Ahmedabad: કલ્યાણ જ્વેલર્સની પાછળ આવેલી સાઈટ પર દુર્ઘટના
- એક ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો
- 5માં માળેથી પટકાયા હતા 3 મજૂર, 2 મજૂરના મોત
Ahmedabad: અમદાવાદ શહેરમાં સુરક્ષાના દાવાઓ વચ્ચે ફરી એકવાર રક્તરંજિત દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના આંબાવાડી (Ambavadi) માં આવેલી એક નિર્માણધીન સાઈટ પર કામ દરમિયાન 3 મજૂરો પાંચમા માળેથી નીચે પટકાયા છે. આ ગંભીર ઘટનામાં 2 મજૂરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અચાનક પાટ તૂટી પડી
આ કરુણ ઘટના આંબાવાડી વિસ્તારમાં આવેલી જાણીતી કલ્યાણ જ્વેલર્સ (Kalyan Jewellers) ની પાછળની ગલીમાં ચાલતી એક કન્સ્ટ્રક્શન સાઈટ (Construction Site) પર બની છે. મળતી માહિતી મુજબ આજે સવારે લગભાગ 10 વાગ્યે સાઈટ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું, ત્યારે પાંચમા માળે સેન્ટિંગની કામગીરી દરમિયાન અચાનક પાટ તૂટી પડી હતી. આ પાલક પર ઉભા રહીને કામ કરી રહેલા 3 શ્રમિકો સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા જમીન પર પટકાયા હતા.
Ahmedabad: મૃતકોની ઓળખ
50 ફૂટથી વધુ ઊંચાઈએથી પટકાવાને કારણે બે શ્રમિકો (Workers) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે મોત થઈ ગયા છે. મૃતક શ્રમિકોની ઓળખ દેવીલાલ ભીલ અને શાંતિલાલ મનાત તરીકે થઈ છે. આ બંને શ્રમિકો મૂળ રાજસ્થાનના વતની હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ અહીં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્રીજા મજૂરને શરીરે ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ પહોંચી હોવાથી તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સાથે જ એલીસબ્રિજ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ration Card: ગુજરાતમાં કેમ બંધ થયા 6.33 લાખ રાશનકાર્ડ?


