Ahmedabad: ડ્રેનેજ કામગીરી દરમિયાન ભેખડ ધસી, એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત
- અમદાવાદના (Ahmedabad) વટવા (ન્યૂ મણિનગર) વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત
- ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી હતી
- સેફ્ટીના સાધનો વગર કામગીરી થયા હોવાના આક્ષેપ
- સેફ્ટી બેલ્ટ વિના ઊંડી ગટરની કામગીરી ચાલતી હોવાના આક્ષેપ
Ahmedabad: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા (ન્યૂ મણિનગર) પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઊંડી ગટરમાં કામ કરી રહેલા શ્રમિકો પર અચાનક ભેખડ ધસી પડતા એક શ્રમિકનું માટી નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી
મળતી માહિતી મુજબ, અમદાવાદના ન્યૂ મણિનગર અને વટવાને જોડતા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આજે જ્યારે શ્રમિકો જમીનમાં ઊંડો ખાડો ખોદીને કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઉપરથી માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિક માટીના ઢગલા નીચે દબાઈ ગયો હતો. આસપાસના લોકો અને અન્ય શ્રમિકોએ તેને બચાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ અને શ્વાસ રૂંધાવાને કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું.
સેફ્ટીના સાધનોનો અભાવ
આ ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે આકરા આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, શ્રમિકો ખૂબ જ ઊંડી ગટરમાં ઉતરીને કામ કરી રહ્યા હતા, પરંતુ તેમની પાસે કોઈ સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ જેવા સુરક્ષા સાધનો નહોતા.નિયમ મુજબ જ્યારે ઊંડી કામગીરી ચાલતી હોય ત્યારે આજુબાજુ પ્રોટેક્શન વોલ કે સપોર્ટ આપવો જરૂરી હોય છે, જે અહીં જોવા મળ્યો ન હતો.આમ કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના જ શ્રમિકોના જીવ જોખમમાં મૂકીને આ કામગીરી કરાવવામાં આવી રહી હતી.
તંત્ર સામે સવાલ
આ દુર્ઘટનાએ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર સવાલિયા નિશાન લગાવ્યા છે. શું વિકાસના કામોમાં શ્રમિકોનો જીવ આટલો સસ્તો છે? કોઈપણ સુપરવિઝન વગર આવી જોખમી કામગીરી કેવી રીતે ચાલી રહી હતી?હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક શ્રમિકના પરિવારે ન્યાયની અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
Ahmedabad | મણિનગર વિસ્તારમાં ડ્રેનેજનું ખોદકામ કરતા મજૂર દટાયો ! | Gujarat First
અમદાવાદના વટવા વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત
અમદાવાદ શહેરના ન્યૂ મણિનગર ખાતે મજૂરનું મોત
સેફ્ટી વિના કામ કરાવતા મજૂરનું મોત થયાનો આક્ષેપ
ખાડાની કામગીરી દરમિયાન બેરિકેડ્સ ન લગાવ્યાનો આરોપ… pic.twitter.com/QH525aKpSo— Gujarat First (@GujaratFirst) January 7, 2026
આ પણ વાંચો: Bhavnagar : એટ્રોસિટી આરોપીને આશરો આપનાર મહિલા કોન્સ્ટેબલ નયના બારિયાને જામીન મંજૂર


