ચાંદખેડામાં Food Poisoning ની આશંકા: ઢોંસા ખાધા બાદ બે બાળકીઓના ભેદી મોતનું રહસ્ય શું?
- અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં Food Poisoning નો ચોંકાવનાર કિસ્સો
- ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં રહેતા પ્રજાપતિ પરિવારની બે બાળકીઓના ભેદી મોત
- ઢોસા ખાધા બાદ મોત થયું હોવાનો દાવો, માતા પિતા પણ હાલ સારવાર હેઠળ
- ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે FSL ની મદદથી તપાસ શરૂ કરી
- ઘનશ્યામ ડેરીના સંચાલકોની પ્રતિક્રિયા પણ સામે આવી
- 1 એપ્રિલના રોજ 90 કિલો ખીરું તૈયાર કર્યું હતું જે પૈકી 70 કિલો ખીરું વેચાણ થયું
Food Poisoning in Chandkheda: અમદાવાદ શહેરના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં આવેલા મારુતિ પ્લાઝા (Maruti Plaza) માં રહેતા પ્રજાપતિ પરિવાર પર આભ ફાટ્યું છે. ઢોંસા ખાધા બાદ સર્જાયેલી તબિયતની ગંભીર અસરોને કારણે પરિવારની બે બાળકીઓના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ તેમજ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
પરિવાર દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, ગત 1 એપ્રિલના રોજ વિમલભાઈ પ્રજાપતિ (Vimal Prajapati) આઈઓસી રોડ (IOC Road) પર આવેલી ઘનશ્યામ ડેરી (Ghanshyam Dairy) માંથી ઢોંસા બનાવવા માટેનું ખીરું લાવ્યા હતા. તે જ સાંજે વિમલભાઈએ ઢોંસા ખાધા હતા, જે બાદ મોડી રાત્રે તેમને ઉલટીઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજા દિવસે એટલે કે 2 એપ્રિલે, વિમલભાઈના પત્ની ભાવનાબેન (Bhavnaben) અને તેમની ચાર વર્ષની દીકરી મિસ્ટીએ (Misti) પણ તે જ ખીરાના ઢોંસા ખાધા હતા, જેના થોડા સમય બાદ તેમની પણ તબિયત લથડી હતી.
ત્રણ મહિનાની બાળકી અને ચાર વર્ષની મિસ્ટીનું મોત
આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, ભાવનાબેનની તબિયત બગડ્યા બાદ તેમની ત્રણ મહિનાની માસૂમ બાળકી 'રાહ' (Raah) ને ફીડિંગ કરાવવામાં આવ્યું હતું. પરિવારનો દાવો છે કે માતાની તબિયત ખરાબ હોવાને કારણે ફીડિંગ બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી ચાર વર્ષની મિસ્ટી પ્રજાપતિનું પણ 3 એપ્રિલે સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, ગણતરીના કલાકોમાં જ પરિવારે પોતાની બે વ્હાલસોયી દીકરીઓ ગુમાવી દીધી છે. હાલ મૃતક બાળકીઓના માતા-પિતા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ડેરી સંચાલકોનો બચાવ, 70 કિલો વેચાયું હતું
ઘટનાની જાણ થતા પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ તપાસમાં જોડાઈ છે. બીજી તરફ, જે ડેરીમાંથી ખીરું ખરીદવામાં આવ્યું હતું તે ઘનશ્યામ ડેરીના સંચાલકોએ જણાવ્યું કે, 1 એપ્રિલના રોજ તેમણે કુલ 90 કિલો ખીરું તૈયાર કર્યું હતું, જેમાંથી 70 કિલો વેચાયું હતું. અન્ય કોઈ ગ્રાહકની આવી ફરિયાદ મળી નથી. સંચાલકોએ વધુમાં ઉમેર્યું કે તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને તેમની પાસે તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ ઉપલબ્ધ છે. હાલમાં એફએસએલ દ્વારા નમૂનાઓ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મોતનું સાચું કારણ ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) છે કે અન્ય કોઈ ભેદી કારણ.
આ પણ વાંચો: Chandkheda: જે ખીરું તમે ખાઓ છો તે ઝેર તો નથી ને? બે માસૂમ દીકરીઓના મોત, દંપતી ગંભીર


