સાવધાન! અમદાવાદમાં હજુ પણ ફરી રહી છે ₹500-1000ની Old Currency!
- અમદાવાદમાં Old Currency વટાવવાના નેટવર્કનો પર્દાફાશ
- અમદાવાદ નરોડામાંથી 89 લાખની જુની ચલણી નોટ પકડાઈ
- પોલીસ 89 લાખની ચલણી નોટો સાથે બે લોકોની કરી ધરપકડ
- અનિલ દેસાઈ અને કૃષ્ણપાલસિંહ સોઢા નામના વ્યક્તિની ધરપકડ
- લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના શખ્સો ફરાર થઈ ગયા
- આરોપીઓ કમિશન લઈને હેરાફેરી કરતા હોવાનું આવ્યું સામે
- નરોડા પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
Old Currency Seized: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદના નરોડા (Naroda) વિસ્તારમાં જૂની ચલણી નોટો (Old Currency) વટાવવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભારત સરકાર દ્વારા વર્ષો પહેલા બંધ કરવામાં આવેલી રૂપિયા 500 અને રૂપિયા 1000ની નોટો હજુ પણ બજારમાં ફરે છે અને તેની હેરાફેરી થઈ રહી છે, તે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ છે. નરોડા પોલીસે (Naroda Police) ગેલેક્સી ચાર રસ્તા (Galaxy Cross Roads) પાસેથી રૂપિયા 89 લાખની રદ થયેલી નોટો સાથે બે શખ્સોને દબોચી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય સાગરીતો ફરાર થઈ ગયા છે.
રદ થયેલી નોટોની મોટી હેરફેર ફિલ્મી ઢબે ઝડપી પાડી
નરોડા પોલીસના ડી-સ્ટાફની (D-Staff) ટીમને એક ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે ગેલેક્સી ચાર રસ્તા પાસે રદ થયેલી નોટોની મોટી હેરફેર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે એક શંકાસ્પદ વેગનર કાર (Wagon R Car) ત્યાંથી પસાર થઈ, ત્યારે પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી. કારની અંદર તપાસ કરતા પોલીસ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. અંદરથી રૂપિયા 1000 અને રૂપિયા 500ના દરની જૂની નોટોના અસંખ્ય બંડલો મળી આવ્યા હતા. પંચનામા દરમિયાન જાણવા મળ્યું કે આ રકમ કુલ રૂપિયા 89 લાખ (89 Lakhs) જેટલી મોટી હતી.
બે આરોપીઓની ધરપકડ અને બે ફરાર
પોલીસે સ્થળ પરથી અનિલ રબારી (Anil Rabari) અને કૃષ્ણપાલ સિંહ સોઢા (Krishnapalsinh Sodha) નામના બે શખ્સોની અટકાયત કરી છે. જોકે, પોલીસની રેડ પડતા જ લક્ષ્મણ દેસાઈ (Laxman Desai) અને જયેશ પટેલ (Jayesh Patel) નામના અન્ય બે શખ્સો ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ગુનો નોંધી આ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
નેટવર્કનો માસ્ટરમાઈન્ડ અને મોડસ ઓપરેન્ડી
પોલીસની પ્રાથમિક તપાસમાં આ આખા નેટવર્કનો માસ્ટરમાઈન્ડ જિતેન્દ્ર સિંહ રાઠોડ (Jitendrasinh Rathod) હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે કૃષ્ણપાલ સિંહ, લક્ષ્મણ અને જયેશ પટેલ આ જિતેન્દ્ર સિંહના ખાસ સાગરીતો છે. તેઓ આ જૂની નોટો અમરાઈવાડીના (Amraiwadi) મુકેશ રબારી (Mukesh Rabari) પાસે વટાવવા માટે આપતા હતા. આ વખતે મુકેશ રબારી રૂપિયા 89 લાખની નોટો વટાવી શક્યો નહોતો, તેથી તે નોટો જિતેન્દ્ર સિંહને પરત આપવા માટેની વાતચીત થઈ હતી.
આ વ્યવહાર પૂરો કરવા માટે લક્ષ્મણ દેસાઈએ પોતાના ગામના મિત્ર અનિલ રબારીને મુકેશ રબારી પાસેથી પાર્સલ લેવા મોકલ્યો હતો. આ લોકો ગેલેક્સી ચાર રસ્તા પાસે ભેગા થઈને નોટોની હેરફેર કરવાના હતા, પરંતુ તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી.
અગાઉ પણ લાખોની નોટો વટાવી હોવાની કબૂલાત
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ ગેંગ અગાઉ પણ બે વખત આવી હેરફેર કરી ચૂકી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે બે માસ પહેલા રૂપિયા 30 લાખ અને તેના એક માસ પહેલા રૂપિયા 10 લાખની જૂની નોટો મુકેશ રબારી દ્વારા વટાવી દેવામાં આવી હતી. આ સાગરીતોને એક વખતના ફેરા માટે રૂપિયા 15 થી 20 હજારનું કમિશન (Commission) મળતું હતું.
હવે સૌથી મોટો સવાલ એ છે કે નોટબંધીના આટલા વર્ષો પછી પણ જિતેન્દ્ર સિંહ રાઠોડ પાસે આટલી મોટી માત્રામાં જૂની નોટો ક્યાંથી આવતી હતી? અને મુકેશ રબારી આ નોટો ક્યાં અને કોની મદદથી બદલાવતો હતો? આ પ્રશ્નો અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. હાલ પોલીસ મુખ્ય આરોપી જિતેન્દ્ર સિંહની શોધખોળ કરી રહી છે, જેના પકડાયા બાદ જ આ રદ થયેલી નોટોના અસલી સોર્સનો ખુલાસો થશે.
આ પણ વાંચો: સુરતમાં Black Money નષ્ટ કરવાનો પ્રયાસ? 500ની નોટો સળગાવેલી હાલતમાં મળતા રહસ્ય ઘેરાયું


