Ahmedabad: નવા નરોડામાં અગરબત્તીના ગોડાઉનમાં ભયાનક આગ, ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે
- અમદાવાદ (Ahmedabad)ના અગરબત્તી ગોડાઉનમાં ભયાનક આગ
- નવા નરોડા (New Naroda) માં અગરબત્તી ગોડાઉનમાં વિશાળ આગ લાગી
- મુક્તિધામ નજીક અમરનાથ એસ્ટેટમાં રાત્રે લાગી આગ
- ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે દોડી
Ahmedabad: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નવા નરોડા (New Naroda) માં ગત રાત્રે આગ (major fire)નો ભયાનક મંજર જોવા મળ્યો હતો. નવા નરોડા મુક્તિધામ પાસે આવેલા અમરનાથ એસ્ટેટમાં સ્થિત એક અગરબત્તીના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. અગરબત્તી બનાવવા માટે વપરાતો જ્વલનશીલ પદાર્થ અને કાચો માલ હોવાને કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
નવા નરોડામાં અગરબત્તીના ગોડાઉનમાં ભયાનક આગ
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ કામે લગાડવામાં આવી હતી. રાત્રિના અંધારામાં ફાયરના જવાનોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
મળતી માહિતી મુજબ, આગ રાત્રિના સમયે લાગી હોવાથી સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો અગરબત્તીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી હજુ પણ યથાવત છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.


