Ahmedabad Nagardevi Yatra : નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા ખમાસા વિસ્તારમાં પહોંચી , સ્કૂલમાં ધો.10ની પરીક્ષા હોવાથી સ્પીકર કર્યા બંધ
Ahmedabad : આજે અમદાવાદ (Ahmedabad) ના સ્થાપના દિવસ (Foundation Day) નિમિત્તે શહેરના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા (Nagardevi Yatra) નીકળી હતી. વર્ષ 2025માં 614 વર્ષ બાદ પ્રથમવાર શરૂ થયેલી આ નગરચર્યાની પરંપરા 2026માં પણ અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જાળવી રાખવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદના મેયર અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા પૂર્વે માતાજીની ચલિત મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીને પાલખીમાં બિરાજમાન કરી રથ સુધી લાવવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર (Guard of Honor) આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા ખમાસા વિસ્તારમાં પહોંચી
February 26, 2026 1:51 pm
અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા જ્યારે શહેરના ખમાસા વિસ્તારમાં પહોંચી, ત્યારે આયોજકો દ્વારા કોમી એકતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. માર્ગમાં100 મીટરના દાયરામાં 'અંજુમન-એ-ઇસ્લામ' શાળા ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હોવાથી, વિદ્યાર્થીઓની એકાગ્રતામાં ખલેલ ન પહોંચે તે હેતુથી નગરયાત્રામાં વાગતા સ્પીકર, ઢોલ અને નગાડા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા. બાળકોને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે આ નગરયાત્રા અત્યંત શાંતિપ્રિય માહોલમાં પસાર કરવામાં આવી હતી, જેણે શૈક્ષણિક કાર્ય પ્રત્યે આદર અને સંવેદનશીલતાનો સંદેશ આપ્યો છે.
યાત્રા વિવિધ અખાડા અને અનેક ગાડીઓ સાથે વાજતે-ગાજતે જમાલપુર મંદિરે પહોંચી
February 26, 2026 12:07 pm
આ યાત્રા વિવિધ અખાડા અને અનેક ગાડીઓ સાથે વાજતે-ગાજતે જમાલપુર મંદિરે પહોંચી હતી. યાત્રા દરમિયાન બાળકોએ પિરામિડ બનાવીને આકર્ષક કરતબો રજૂ કર્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે માતાજીના રથનું ભવ્ય સ્વાગત
February 26, 2026 12:07 pm
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ સ્વાગતમાં જોડાયા હતા. કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.સમગ્ર વાતાવરણ 'ભદ્રકાળી માતા કી જય' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.મોટી સંખ્યામાં મહિલાઓ આરતીની થાળી સાથે માતાજીના દર્શન અને પૂજન માટે ઉમટી પડી હતી.
વાહનોની ભારે ભીડ અને ટ્રાફિક સર્જાયો
February 26, 2026 12:07 pm
ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ચાર રસ્તા પાસે વાહનોની ભારે ભીડ અને ટ્રાફિક સર્જાયો હતો.ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વાહનોને બીઆરટીએસ (BRTS) કોરિડોરમાંથી પસાર કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ માર્ગમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
February 26, 2026 10:38 am
ખાડિયા બાલા હનુમાન પાસે ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ માર્ગમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
યાત્રામાં કરતબબાજોના આશ્ચર્યજનક કરતબ
February 26, 2026 10:38 am
યાત્રામાં કરતબબાજો દ્વારા કાચના ટુકડા પર સૂઈને વિવિધ આશ્ચર્યજનક કરતબ બતાવવામાં આવી રહ્યા છે.કેટલાક કરતબબાજો ખીલ્લીઓ પર ઊભા રહીને પોતાની સાહસિક કળાનું પ્રદર્શન કરી રહ્યા છે.
રથયાત્રાના રૂટ પર છાશ વિતરણની સેવા
February 26, 2026 10:38 am
ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા રથયાત્રાના રૂટ પર છાશ વિતરણની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
પ્રથમ વખત ખાડિયાના આંગણે નગરદેવી ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા
February 26, 2026 10:38 am
ઇતિહાસમાં પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળીની યાત્રા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. માતાજીના આગમનને પગલે સમગ્ર ખાડિયા વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકો હાથમાં ફૂલ અને કંકુ લઈને નગરયાત્રાને વધાવવા માટે ઉમટી પડ્યા છે. ખાડિયામાં માતાજીનો રથ પહોંચતા જ ભક્તોની વિશાળ મેદની એકઠી થઈ હતી.
પરીક્ષા કેન્દ્ર પાસે નગરયાત્રાના ઢોલ-નગારા થંભી ગયા
February 26, 2026 10:38 am
ખમાસામાં પરીક્ષા કેન્દ્ર પાસે નગરયાત્રા પહોંચતા જ વિદ્યાર્થીઓની સુવિધા માટે ઢોલ-નગારા બંધ કરવામાં આવ્યા.ખમાસાની અંજુમને ઇસ્લામ સ્કૂલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.નગરયાત્રા હવે શાંતિપૂર્ણ રીતે પોતાના નિર્ધારિત રૂટ પર આગળ વધશે.
નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા માણેકચોક પહોંચી
February 26, 2026 10:21 am
અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના ઐતિહાસિક વિસ્તાર માણેકચોક ખાતે પહોંચી હતી. આ પવિત્ર યાત્રાનું પ્રસ્થાન શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીના રથની પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યું હતું.નગરચર્યા દરમિયાન બાબા માણેકનાથજીની સમાધિ સ્થળે પણ વિશેષ પૂજા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 614 વર્ષના લાંબા ગાળા બાદ વર્ષ 2025માં પ્રથમ વખત માતાજી નગરચર્યાએ નીકળ્યા હતા, જે ભક્તો માટે ખૂબ જ હર્ષ અને આસ્થાનો વિષય બન્યો હતો. આ પ્રસંગે 5 હજારથી વધુ શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
February 26, 2026 10:19 am
અંદાજે 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
નાસિક ઢોલ, નગાડા, અખાડા અને ભજનમંડળી સાથે નીકળ્યા નગરદેવી નગરચર્યાએ
February 26, 2026 10:19 am
યાત્રામાં નાસિક ઢોલ, નગારા, અખાડા, ભજન મંડળીઓ અને વિવિધ આકર્ષક ટેબ્લો (Tableaux) જોડાયા હતા.


