Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-159 કેન્સલ કરાઈ
- Air India ની અમદાવાદથી લંડન જતી AI-159 ફલાઈટ રદ કરાઈ
- લંડન જવા નીકળેલા યાત્રીઓ એરપોર્ટ પર અટવાયા
- Air India ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહીં કરે
Ahmedabad Plane Crash : આજે અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-159 કેન્સલ કરી દેવાઈ છે. એર ઈન્ડિયાએ ટેકનિકલ ફોલ્ટ જણાતાં સત્વરે ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. ફ્લાઈટ કેન્સલ થતા યાત્રાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લંડન જઈ રહેલા પેસેન્જર્સ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. જો કે સમયસર ટેકનિકલ ફોલ્ટ ધ્યાને આવતા ફરીથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
ટેકનિકલ ફોલ્ટને લીધે ફ્લાઈટ કેન્સલ
12મી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડ્સમાં જ ધડાકાભેર સાથે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ઘટના બાદ એર ઈન્ડિયા હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવા લાગ્યું છે. આજે 17મી જૂને ફરીથી અમદાવાદથી લંડન જતી ફલાઈટ AI-159 માં ટેકનિકલ ફોલ્ટ જણાતા ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે. ટેકઓફના ગણતરીના કલાકો અગાઉ જ આ ટેકનિકલ ફોલ્ટ ધ્યાને આવતા આખી ફ્લાઈટ જ કેન્સલ કરી દેવાઈ છે. સમયસર લીધેલા નિર્ણયને લીધે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અનેક નિર્દોષોનો જીવ બચ્યો છે.
ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહીં થાય
અમદાવાદમાં ગત ગુરુવારે ગોઝારી વિમાન દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ AI 171 ધડાકાભેર તૂટી પડી હતી. જેમાં પેસેન્જર્સ સહિત 270થી વધુ લોકોના કરુણ મૃત્યુ નીપજ્યાં હતા. આજે 17મી જૂન મંગળવારે ફરીથી એર ઈન્ડિયાની જ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ટેકનિકલ ફોલ્ટ થયો હતો. આ ફોલ્ટ ધ્યાને આવતા ફલાઈટને કેન્સલ કરવામાં આવી છે. ફ્લાઈટ કેન્સલ કરાતા અમદાવાદથી લંડન જતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે. જો કે એર ઈન્ડિયાએ હવે ફ્લાઈટ નંબર AI 171 ન વાપરવાનો નિર્ણય કર્યો છે. તેથી જ આજે અમદાવાદથી લંડન જતી ફ્લાઈટને AI 171 ને બદલે AI 159 નંબર આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Jaipur : કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશના મૃતક પાયલોટ રાજવીર સિંહ ચૌહાણની અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા