જોકે, માત્ર થોડા કલાકના વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પ્રી-મોન્સૂન કામગીરીના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. બોપલ (Bopal), ચાંદલોડિયા (Chandlodiya), સેટેલાઈટ (Satellite) અને સરખેજ (Sarkhej) જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની રમઝટ
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ એમ બંને ઝોનમાં વરસાદે હાજરી આપી છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુર (Vejalpur), વાસણા (Vasna), આનંદ નગર (Anand Nagar), સેટેલાઈટ (Satellite), બોપલ (Bopal) અને ચાંદલોડિયામાં (Chandlodiya) ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા.
જ્યારે બીજી તરફ પૂર્વ અમદાવાદના રામોલ (Ramol), હાથીજણ (Hathijan), વસ્ત્રાલ (Vastral), મણિનગર (Maninagar), અમરાઈવાડી (Amraiwadi) અને ઓઢવ (Odhav) વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વિઝિબિલિટી (Visibility) ઘટી ગઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ચાંદલોડિયાનું રુદ્ર હનુમાનજી અને મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
ચાંદલોડિયા (Chandlodiya) વિસ્તારમાં આવેલું પ્રખ્યાત રુદ્ર હનુમાનજી અને રુદ્ર મહાદેવ મંદિર ચોમાસાની શરૂઆતમાં જ બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં સામાન્ય વરસાદમાં પણ દર વર્ષે મંદિરના પટાંગણમાં અને આસપાસના માર્ગો પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. ગઈકાલે પડેલા ભારે વરસાદી ઝાપટાં અને આજે સવારે શરૂ થયેલા વરસાદને કારણે મંદિરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં, શ્રદ્ધાળુઓ અને ભક્તો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને પણ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. સ્થાનિક ભક્તો અને દર્શનાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
બોપલ ગામમાં હજુ પણ પાણી ન ઓસર્યા: સ્થાનિકો બેહાલ
અમદાવાદમાં નવા ભળેલા અને પોશ ગણાતા બોપલ (Bopal) વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બોપલ ગામમાં આવેલ ઓક્સિજન પાર્ક (Oxygen Park) નજીક ગઈકાલના વરસાદ બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાને કારણે વાહનચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે અને રાહદારીઓને પણ આ ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બનવું પડ્યું છે.
બોપલ ગામમાં આવેલા દર્શન બંગ્લોઝ અને અમીધારા સોસાયટીની સ્થિતિ વધુ કફોડી છે. અહીં માત્ર વરસાદી પાણી જ નહીં પરંતુ ડ્રેનેજ લાઈન બેક મારતી હોવાથી ગટરના દૂષિત પાણી રોડ પર અને સોસાયટીના ગેટ સુધી ફરી વળ્યા છે.
સ્થાનિક રહીશોનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષથી (5 Years) ડ્રેનેજના પાણી બેક મારવાની વિકટ સમસ્યા યથાવત છે. કોર્પોરેશનમાં (AMC) વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી ભળતા આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ (Foul Smell) ફેલાઈ ગઈ છે, જેનાથી ડેન્ગ્યુ (Dengue) અને મલેરિયા (Malaria) જેવા રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે.
સ્ટર્લિંગ સિટીમાં તંત્રની બેદરકારી સામે રોષ
બોપલના (Bopal) જ સ્ટર્લિંગ સિટી સેક્ટર 2 માં પણ વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. અહીં એકબાજુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી અડધી છોડી દેવામાં આવી છે અને બીજી તરફ વરસાદ આવતા આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. યોગ્ય આયોજન વગર કરાતી કામગીરીને કારણે લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. સ્થાનીક લોકોમાં AMC ની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ અને રોષની લાગણી જોવા મળી રહી છે.
સરખેજ એલજે યુનિવર્સિટી રોડ પર ટ્રાફિક જામ
સરખેજ (Sarkhej) વિસ્તારમાં આવેલી એલજે યુનિવર્સિટી (LJ University) નજીકના નીચાણવાળા માર્ગો પર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. આ માર્ગ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તા પર 1 થી 2 ફૂટ પાણી ભરાઈ જવાને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની (Traffic Jam) સમસ્યા સર્જાઈ હતી.
નિયમોના ધજાગરા: સ્ટેન્ડિંગ કમિટીની સૂચના છતાં ખોદકામ ચાલુ
વરસાદી સિઝન દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રકારનું ખોદકામ ન કરવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આમ છતાં, ઘુમાથી શેલા જવાના મુખ્ય રોડ પર AMC ના કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈન માટે મોટું ખોદકામ કરવામાં આવ્યું છે.
રોડની બાજુમાં અંદાજિત 1 કિલોમીટર જેટલી લાંબી ચાસ ખોદી નાખવામાં આવી છે અને RCC નાળાં રોડ પર ખુલ્લા રખાયા છે. ચોમાસામાં આ પ્રકારે ખોદકામ ચાલુ રહેતા અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે. સ્ટેન્ડિંગ કમિટીની આદેશની ઐસીતૈસી કરીને ચાલતી આ કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે.
વેજલપુર શ્રી નંદનગર-2 ના રહીશો ભયના ઓથાર હેઠળ
વેજલપુરમાં (Vejalpur) આવેલી શ્રી નંદનગર-2 સોસાયટીના લોકોએ ભારે વરસાદની આગાહી વચ્ચે આખી રાત ભય અને ચિંતા વચ્ચે વિતાવી હતી. અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને, સોસાયટીમાં વરસાદી પાણી પ્રવેશે નહીં તે માટે સ્થાનિક રહીશોએ સતર્કતા દાખવીને સોસાયટીના મુખ્ય ગેટ પર રેતી ભરેલી બોરીઓ ગોઠવી દીધી છે. વધુમાં, સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ન જાય તે માટે રહીશોએ પોતાના વાહનો બહાર મુખ્ય રસ્તા પર પાર્ક કરવા મજબૂર બનવું પડ્યું છે.
અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન હજુ પણ વરસાદનું જોર રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એકતરફ મેઘરાજાની પધરામણીથી ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ તંત્રની અણઘડ કામગીરીને કારણે અમદાવાદીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે AMC દ્વારા ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે શું પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો: પશ્ચિમ અમદાવાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: થલતેજમાં સૌથી વધુ વરસાદ