જાહેરનામાનો મુખ્ય હેતુ
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 (1) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો 1989 ના નિયમ 207 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રાના રૂટ પર આવતા માર્ગો પર ટ્રાફિકનું નિયંત્રણ કરવાનો છે, જેથી રથયાત્રા નિર્વિઘ્ને પસાર થઈ શકે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.
રથયાત્રાનો નિર્ધારિત રૂટ
રથયાત્રા જગન્નાથ મંદિર, જમાલપુર દરવાજા બહારથી પ્રારંભ થશે અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે. આ રૂટમાં જમાલપુર ચકલા, વૈશ્યસભા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ થઈ સરસપુર પહોંચશે. સરસપુરમાં વિશ્રામ કર્યા બાદ, પરત ફરતી વખતે કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર.સી. હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, કુવારા, ચાંદલાઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાકમાર્કેટ, દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલા થઈ ફરીથી શ્રી જગન્નાથ મંદિરે પહોંચશે.
ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધિત માર્ગો
પોલીસે રથયાત્રાના રૂટ સાથે જોડાયેલા અનેક મહત્વના માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધિત જાહેર કર્યો છે.
ખમાસાથી જમાલપુર: ખમાસા ચાર રસ્તાથી જમાલપુર ચાર રસ્તા સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે.
રાયખડ અને આસ્ટોડિયા: રાયખડ ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજા સુધીના માર્ગ પર વાહનોની અવર-જવર પ્રતિબંધિત રહેશે.
કાલુપુર વિસ્તાર: સારંગપુર સર્કલથી કાલુપુર બ્રિજ અને ત્યાંથી સરસપુર સુધીના રસ્તાઓ બંધ રાખવામાં આવશે.
દિલ્હી ચકલા અને શાહપુર: દિલ્હી ચકલાથી શાહપુર દરવાજા અને શાહપુર ચકલા થઈ આર.સી. હાઈસ્કૂલ અને ઘીકાંટા રોડ સુધી ટ્રાફિક પર નિયંત્રણ રહેશે.
વૈકલ્પિક માર્ગો
નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસે વૈકલ્પિક રૂટ સૂચવ્યા છે.
- રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટ, ત્યારબાદ જમાલપુર બ્રિજ અને ગીતામંદિર તરફ જઈ શકાશે.
- કામદાર ચાર રસ્તા થઈ હરીભાઈ ગોદાણી, પોટલીયા, નિર્મલપુરા, ચામુંડા બ્રિજ, અસારવા બ્રિજ થઈ ઇદગાહ સર્કલ તરફ જઈ શકાય છે.
- ઇન્કમટેક્સથી ગાંધીબ્રિજ થઈ રાહત સર્કલ અને દિલ્હી દરવાજા તરફ જવાનો માર્ગ ખુલ્લો રહેશે.
જાહેરનામું ઈમરજન્સી વાહનોને લાગુ નહીં પડે
આ પ્રતિબંધ રથયાત્રા સાથે જોડાયેલા અધિકૃત પોલીસ વિભાગ, વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને કટોકટીના સમયે ફરજ બજાવતા સરકારી વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામું 15 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
ઉલ્લંઘન કરનારાઓ સામે થશે કર્યવાહી
પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદો પોલીસ કોન્સ્ટેબલથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓને અમલ કરાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને ઉત્સવના સમયમાં વહીવટીતંત્રને સહકાર આપે.
આ પણ વાંચોઃ Jamnagar માં આશાવર્કર બહેનોના સામૂહિક ધરણા, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર