Ahmedabad Seventh Day School એ વાલીઓના આક્રોશથી બચવા માટે શરૂ કર્યું શૈક્ષણિક કાર્ય
- Seventh day School માં વિદ્યાર્થીની હત્યા બાદ હવે ઓનલાઇન શિક્ષણ શરૂ
- વાલીઓના આક્રોશથી બચવા માટે શાળાએ શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું
- સવારે 8 થી 11.30 સુધી ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવ્યું
- શિક્ષકો પોતાના ઘરેથી જ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવ્યો
- જો કે વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ રીતે શાળા કેમ્પસ હજુ બંધ અવસ્થામાં
Ahmedabad Seventh Day School : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની છે. ગયા મંગળવારે શાળાના ગેટની સામે જ નયન નામના વિદ્યાર્થીની હત્યા થતાં વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘટના બાદ વિદ્યાર્થીને સમયસર સારવાર ન મળી હોવાનો પણ શાળાની સામે ગંભીર આરોપ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગની પ્રાથમિક તપાસમાં પણ શાળાની બેદરકારી બહાર આવતા વાલીઓ તેમજ સ્થાનિકોમાં ગુસ્સાનો માહોલ વધુ ચરમસીમાએ પહોંચ્યો છે.
વાલીઓના વિરોધને ધ્યાનમાં રાખીને નિર્ણય
વાલીઓના વિરોધ અને વિરોધાભાસી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ કોઈ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય તે માટે શાળાએ તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. સવારે 8 થી 11.30 વાગ્યા સુધી શિક્ષકો પોતાના ઘરેથી જ ઓનલાઈન ક્લાસીસ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છે. એટલે કે હાલમાં શાળાનું કેમ્પસ બંધ છે અને ત્યાં કોઈ જવાબદાર કે કર્મચારી હાજર નથી.
આ પણ વાંચો : Ahmedabad : સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના કરુણ મૃત્યુ બાદ વાલીઓનું હલ્લાબોલ, પ્રિન્સિપાલ-શિક્ષકોને માર્યા
seventh day શાળાની આસપાસના સંચાલકોમાં પણ ડર
આ ઘટનાના પગલે માત્ર સેવન્થ ડે જ નહીં પરંતુ આસપાસની શાળાઓમાં પણ ડર અને ભયનો માહોલ હતો. હત્યાના દિવસે જ નજીકની શાળાઓએ સ્વયંભૂ શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હતું. છેલ્લા 4 દિવસથી આ શાળાઓમાં શિક્ષણ બંધ હતું, પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે. આસપાસની શાળાના સંચાલકો અને શિક્ષકોએ વાલીઓને કાઉન્સેલિંગ આપ્યા બાદ વાલીઓ તેમના બાળકોને ફરીથી શાળામાં મોકલવા તૈયાર થયા છે. પરિણામે આજથી નજીકની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે.
હાલની પરિસ્થિતિ
સૂત્રોની માનીએ તો સેવન્થ ડે સ્કૂલના સંચાલકો હાલ વાલીઓના રોષથી બચવા પ્રયત્નશીલ છે અને કોઈ જોખમ લેવા માગતા નથી. તેથી વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. જો કે શાળા ક્યારે ફરીથી નિયમિત રીતે શરૂ થશે તે અંગે હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ સ્થાનિકોમાં હજુ પણ હત્યાની ઘટનાને લઈને ભારે ચર્ચા છે અને શાળાની બેદરકારી સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો : સેવન્થ ડેના પ્રિન્સિપાલના પુત્ર ઈમેન્યુઅલનો મેસેજ થયો વાયરલ; કર્યો ચોંકાવનારો દાવો