Ahmedabad Vadodara Expressway: વહેલી સવારે એક્સપ્રેસ હાઈવે પર દેખાયા રક્તરંજિત દ્રશ્યો
- અમદાવાદ–વડોદરા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, એકનું મોત
- ફતેપુરા પાસે ટ્રકે પીકઅપ વાનને ટક્કર, એક પરિવાર પર તૂટી પડ્યો કાળ
- હાઈવે પર દુર્ઘટનાના કારણે 4 કિમી સુધી વાહનો અટવાયા
Ahmedabad Vadodara Expressway Accident : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે રક્તરંજિત દ્રશ્યો સર્જાયા હતા. નડિયાદ અને આણંદને જોડતા માર્ગ પર ફતેપુરા ગામની સીમમાં એક માર્ગ અકસ્માતે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. આ અકસ્માત માત્ર એક અથડામણ નહોતી, પરંતુ હાઈવે પરની અસાવધાની અને પાછળથી આવતા ભારે વાહનોની ગતિનું ભયાનક પરિણામ હતું.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, એક્સપ્રેસ વે પર ફતેપુરા પાસે 3 પીકઅપ વાન સર્વિસ લાઈન પર ઉભી હતી. હજુ દિવસની શરૂઆત થઈ રહી હતી ત્યાં જ અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે ઉભેલી પીકઅપ વાનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વાહનમાં સવાર અન્ય 2 વ્યક્તિઓ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
તાત્કાલિક બચાવ કામગીરી શરૂ
અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસથી પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પેટ્રોલિંગની ટીમ અને 108 એમ્બ્યુલન્સ સેવા યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોની ગંભીર હાલત જોતા તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અંદાજે 3 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાતા નોકરી-ધંધાર્થે જતા વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઉલ્લ્ખનીય છે કે, ઘટનાની ગંભીરતાને જોતા ચકલાસી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સૂત્રોની માનીએ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોય અથવા વહેલી સવારની ઊંઘનું ઝોકું જવાબદાર હોઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો : Kutch : ભચાઉના કેસરીગઢ પાસે થયો ગમખ્વાર અકસ્માત! એક બાળક સહિત 2 લોકોના મોત


