Ahmedabad News: રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર (નકલી કે વનસ્પતિ ફેટમાંથી બનતું પનીર) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્પાદકો અને વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેનાથી નકલી પનીર વેચનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Ahmedabad ના નરોડા પાટિયા અને વેજલપુર વિસ્તારમાં દરોડા
AMCના ફૂડ વિભાગ દ્વારા પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ખાસ ટીમો બનાવીને અલગ-અલગ ફેક્ટરીઓ અને ડેરીઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
નરોડા પાટિયા વિસ્તારમાં એનાલોગ પનીર બનાવતી એક ફેક્ટરીમાં તપાસ હાથ ધરીને એનાલોગ પનીરનું ઉત્પાદન અટકાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મીરા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીમાં પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વિજય ડેરીને AMC દ્વારા ફટકારાઈ નોટિસ
બીજી તરફ, વેજલપુર વિસ્તારમાં આવેલી 'વિજય ડેરી'માં પણ ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન વિજય ડેરીમાંથી પનીરનું શંકાસ્પદ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવા માટે લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન ડેરીમાં પૂરતી ચોખ્ખાઈ કે સ્વચ્છતા જોવા ન મળતા ફૂડ વિભાગ દ્વારા વિજય ડેરીને નોટીસ ફટકારવામાં આવી છે.
શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા એકમો સામે AMC ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કડક કાર્યવાહી જારી રાખવામાં આવશે.
એનાલોગ પનીર મુદ્દે રાકેશ જોષીનું નિવેદન
અમદાવાદમાં એનાલોગ (નકલી) પનીરના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અંગે આરોગ્ય અધિકારી રાકેશ જોષીએ જણાવ્યું છે કે એનાલોગ પનીર એ નેચરલ પનીર નથી અને તેમાં પ્રોપર પ્રોટીન કે કેલ્શિયમ હોતા નથી તેમજ તેનું ફેટ કન્ટેન્ટ પણ અલગ હોય છે.
નકલી પનીરથી આરોગ્યને ઘણી બધી તકલીફ થઈ શકે
આ નકલી પનીરનું લાંબા સમય સુધી સેવન કરવાથી ગેસ, ઉલ્ટી-ઉબકા જેવી તકલીફો થવા ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયના રોગો જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા આ મોટા પગલાથી લોકોના સ્વાસ્થ્યને થતું નુકસાન અટકશે અને જો નકલી પનીરનું ઉત્પાદન બંધ થશે તો લોકોના આરોગ્યમાં મોટો સુધારો જોવા મળશે.
આ પણ વાંચો: Ahmedabad Crime News: સ્પામાં ચાલતી હતી ડ્રગ્સ અને દેહવેપારની મહેફિલ, મેનેજરની હત્યા બાદ મોટો ખુલાસો