બાળકને જન્મથી જ ગંભીર ખામી હતી
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રહેતા અને એગ્રો કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ 7 નવેમ્બર, 2023 ના રોજ થયો હતો. મંતવ્ય 'પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા' નામની ગંભીર જન્મજાત ખોડખાંપણ સાથે જન્મ્યો હતો. આ દુર્લભ સ્થિતિમાં બાળકની અન્નનળીના બંને છેડા એકબીજાથી અત્યંત દૂર હોવાથી તે પૂર્ણપણે વિકસિત થઈ શકતી નથી. પરિણામે, બાળક મોઢેથી ખોરાક કે દૂધ ગળવામાં અસમર્થ હતું.
જન્મના બીજા દિવસે કરવી પડી તાત્કાલિક સર્જરી
બાળકના જન્મના બીજા જ દિવસે તેનું જીવન બચાવવા માટે ઈસોફેગોસ્ટોમી (ગળાના ભાગેથી રસ્તો બનાવવો) અને ગેસ્ટ્રોસ્ટોમી (પેટ/હોજરીમાં ટ્યુબ મૂકવી) જેવી પ્રાથમિક સર્જરીઓ કરવામાં આવી હતી, જેના દ્વારા બાળકને નળી વડે પ્રવાહી આહાર આપવામાં આવતો હતો. ત્યારબાદ નિયમિત ફોલો-અપ અને યોગ્ય પોષણથી બાળકના વજન તેમજ શારીરિક વિકાસમાં સંતોષકારક સુધારો થતાં, ગત 3 જુલાઈ, 2026 ના રોજ અન્નનળીના Esophageal Reconstruction માટેની અત્યંત જટિલ સર્જરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળક સંપૂર્ણપણે સ્વસ્થ
બાળકના પેટ (હોજરી)માંથી નવી અન્નનળી બનાવવાની આ અત્યંત જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, બાળ સર્જરી વિભાગના પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા એનેસ્થેસિયા વિભાગના ડૉ. અદિતિ અને ડૉ. સોનલ ભાલવટની નિષ્ણાત ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી બાદના ૨૩મા દિવસે બાળકે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. હાલમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને કોઈપણ પ્રકારની જટિલતા વગર તેને હોસ્પિટલમાંથી હસતા મુખે રજા આપવામાં આવી છે.
સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક કરાઈ
તબીબી આંકડાઓ મુજબ, ટ્રેકિયો-ઈસોફેજિયલ ફિસ્ટુલા (TOF) દર 2,500 થી 4,000 જીવંત જન્મોમાંથી એક બાળકમાં જોવા મળે છે. પરંતુ જે કેસમાં અન્નનળીના બંને છેડા ખૂબ જ દૂર હોય (Pure Esophageal Atresia), ત્યાં 'ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી' જ એકમાત્ર અસરકારક ઉપાય બને છે, જેમાં સફળતાનો દર 85 થી 90 ટકા જેટલો છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી અત્યંત ખર્ચાળ હોય છે, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે.
'એક વર્ષમાં આવા જ 7 જટિલ કેસો નું સફળતાપૂર્વક ઓપરેશન'
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, "આ પ્રકારની સર્જરી માટે અત્યંત તકનીકી કુશળતા અને અનુભવી ટીમની જરૂરિયાત રહે છે. બાળકની પોષણક્ષમતા જાળવવાથી લઈને યોગ્ય સમયે ઓપરેશન કરવું એ જ આ સફળતાની ચાવી છે. ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ મોંઘી ગણાતી આ અદ્યતન સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં અમારી ટીમે આવા 7 જટિલ કેસો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
અહેવાલઃ સંજય જોશી
આ પણ વાંચોઃ Ahmedabad Civil Organ Donation : પશ્ચિમ બંગાળના પરિવારે લીધો માનવતાવાદી નિર્ણય; અસહ્ય આઘાત વચ્ચે કર્યું અંગોનું મહાદાન