Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ અત્યંત સક્રિય બનતાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા છે. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. તેમજ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ ચાર સિસ્ટમ (વેલ માર્ક લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય છે. આ સિસ્ટમ્સના પ્રભાવ હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
Gujarat માં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાથે જ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આવતીકાલથી વરસાદ ઘટશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અગાઉનું ડીપ ડિપ્રેશન હવે નબળું પડીને 'વોલમાર્ક લો પ્રેશર'માં ફેરવાયું છે અને તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. મોન્સૂન ટ્રફ અને ઓફ શોર ટ્રફની અસરને કારણે હાલ વરસાદી જોર વધુ છે, પરંતુ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટવાની સંભાવના છે.
સુરેન્દ્રનગરમાં રેકોર્ડબ્રેક વરસાદ
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરમાં રેકોર્ડબ્રેક 149.6 મિમી વરસાદ નોંધાયો છે, જે સિઝન દરમિયાન પાંચમી વખત નોંધાયેલી મોટી રેકોર્ડબ્રેક ઘટના છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, અત્યાર સુધીમાં સરેરાશ 380. 9મિમી સામે 439.9 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય કરતા 16 ટકા વધુ છે.
ઓગસ્ટ મહિના માટે હવામાન વિભાગનું અનુમાન
હવામાન વિભાગના મતે, આગામી ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું રહી શકે છે. વર્તમાન સમયમાં 'અલ-નિનો' (El Nino) ની અસર મોડરેટ સ્તરે છે, પરંતુ આગામી સમયમાં તેની અસર વધુ મજબૂત બની શકે છે, જેની સીધી અસર વરસાદી પ્રણાલીઓ પર પડી શકે છે.
માછીમારો માટે ચેતવણી
દરિયાકાંઠે તોફાની પવનો અને ઊંચા મોજાં ઉછળવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સખત સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Surat Rain News: સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 4,000 થી વધુ લોકોનું સ્થળાંતર, કલેક્ટરની નાગરિકોને અપીલ