Gujarat: રાજ્ય સરકારની પાઠશાળાની નીતિમાં સુધારાની જાહેરાત
- સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાની ભરતી કેન્દ્રીયકૃત રીતે થશે
- અધ્યાપકો અને પ્રધાનાચાર્યોની ભરતી રાજ્યકક્ષાની પસંદગી સમિતિ કરશે
- કર્મચારીના વેતન ભથ્થાં તમામ ગ્રાન્ટનું ધોરણ 100 ટકા રહેશે
રાજ્ય સરકારની પાઠશાળાની નીતિમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાની ભરતી કેન્દ્રીયકૃત રીતે થશે. તેમાં અધ્યાપકો અને પ્રધાનાચાર્યોની ભરતી રાજ્યકક્ષાની પસંદગી સમિતિ કરશે. કર્મચારીના વેતન ભથ્થા તમામ ગ્રાન્ટનું ધોરણ 100 ટકા રહેશે. તથા પ્રતિ માસ પ્રતિ વર્ગ રૂપિયા 15 હજાર લેખે ગ્રાન્ટ અપાશે અને ગ્રંથાલયો માટે રૂ. 15 હજારથી 40 હજાર સુધીની વાર્ષિક ગ્રાન્ટ ફાળવાશે.
ફૂડ બિલ પ્રતિ વિદ્યાર્થી પ્રતિ માસ રૂપિયા 2,150 અપાશે
ફૂડ બિલ પ્રતિ વિદ્યાર્થી પ્રતિ માસ રૂપિયા 2,150 અપાશે તેમજ ગણવેશ, પુસ્તક અને સ્ટેશનરી માટે રૂ. 4 હજાર વિદ્યાર્થી સહાય ચૂકવાશે. તમામ સંસ્કૃત પાઠશાળાઓ વિદ્યા સમિક્ષા કેન્દ્ર સાથે જોડાશે. આ નવી નીતિ અંતર્ગત રાજયમાં હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવામાં આવશે તેમજ પાઠશાળાઓમાં ભરતીની પ્રક્રિયા રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ‘સંસ્કૃત સાધના’ નવી સુધારા નીતિને મંજૂરી આપવામાં આવી છે. આ નવી સુધારા નીતિ અંતર્ગત રાજયમાં આવેલી હયાત તમામ સંસ્કૃત પાઠશાળાઓ અદ્યતન શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓથી સુસજ્જ બને તે માટે સંસ્કૃત સાધના નીતિને બહાલી અપાઈ છે. જેના કારણે સંસ્કૃતમાં અભિરુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વેદ, પુરાણ, ઉપનિષદમ જ્યોતિષ, આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર જેવા શાસ્ત્રોના સંસ્કૃત માધ્યમમાં ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ બનશે.
પગાર ભથ્થા પેટે તમામ કક્ષાની સંસ્કૃત પાઠશાળા માટે ગ્રાન્ટનું ધોરણ 100 ટકાનું
આ ઉપરાંત રાજ્યની સરકારી અને બિનસરકારી ગ્રાન્ટેડ સંસ્કૃત પાઠશાળાઓમાં ખાલી પડતી પ્રધાનાચાર્ય અને અધ્યાપકની જગ્યાઓ ભરવા માટે કેન્દ્રિય કૃત રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની અનુદાનિત સંસ્કૃત પાઠશાળામાં હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફાજલનું રક્ષણ મળશે. આ ઠરાવથી નિયત ધારા ધોરણો પ્રાપ્ત કર્યા બાદ રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત સંસ્કૃત પાઠશાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર ભથ્થા પેટે તમામ કક્ષાની સંસ્કૃત પાઠશાળા માટે ગ્રાન્ટનું ધોરણ 100 ટકાનું રહેશે. આ ઉપરાંત બિન સરકારી અનુદાનિત સંસ્કૃત પાઠશાળાના નિભાવ માટે આ ઠરાવથી નિયત કરાયેલા ધારા ધોરણો પ્રાપ્ત કર્યા બાદ કક્ષા મુજબ સંસ્થાના માન્ય વર્ગોના આધારે પ્રત્યેક વર્ગ દીઠ (પ્રતિ માસ, પ્રતિ વર્ગ) રૂ. 15000/ લેખે વર્ગ દીઠ નિભાવ ગ્રાન્ટનું ધોરણ રહેશે.
આ પણ વાંચો: USA: આ માણસને 475 વર્ષની જેલ થઈ, અમેરિકામાં સનસનાટી મચાવી, જાણો તેનો ગુનો!