Gujarat News : આજે 9 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 9 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : નવસારી શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની તથા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' પર સોમનાથમાં રોશનીનો શણગાર તેમજ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે દિવસના શામળાજી મહોત્સવનું આયોજન તથા વન વિભાગમાં વર્ગ 3ના કર્મચારીઓને બઢતી મળી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
નવસારી શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની
નવસારી શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની છે. જેમાં શહેરના દાતેજ છાપરા રોડ પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી છે. બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી છે. તેમાં ખાનગી રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હોવાની માહિતી છે. રૂપિયાની લેવડ-દેવડમાં ઝઘડો થયા બાદ ફાયરિંગ થયું તથા ફાયરિંગની ઘટનામાં હથિયારના માલિકને જ ગોળી વાગી છે. ઇજાગ્રસ્ત પ્રકાશ કથીરીયા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
'સોમનાથ સ્વાભિમાન પર્વ' પર સોમનાથમાં રોશનીનો શણગાર
'સોમનાથ સ્વાભિમાન પર્વ' પર સોમનાથમાં રોશનીનો શણગાર થયો છે. PM મોદી સ્વાભિમાન યાત્રાને લઈને પણ તૈયારીઓનો ધમધમાટ છે. સોમનાથના પ્રવેશ દ્વારથી સોમનાથ મહાદેવના મંદિર સુધી શણગાર કરવામાં આવ્યો છે. રોશનીથી શણગાર થતા લોકોની પણ ભારે ભીડ જોવા મળી છે. રોશનીના શણગાર વચ્ચે લોકો ફોટો લેતા નજરે પડ્યા છે.
શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે દિવસના શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ દિવસે આ મહોત્સવનો પ્રારંભ રાજ્ય મંત્રી પી.સી. બરંડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે કૃષ્ણ ભક્તિ ઉપર રાસથી શરૂઆત કર્યા બાદ લોક ગાયક ઓસમાણ મીર દ્વારા સંગીતના સુર રેલાવ્યા હતા. મહોત્સવનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બીજા દિવસે સમાપન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે. કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
વન વિભાગમાં વર્ગ 3ના કર્મચારીઓને બઢતી મળી
વન વિભાગમાં વર્ગ 3ના કર્મચારીઓને બઢતી મળી છે. જેમાં 425 વન રક્ષકને વનપાલ તરીકે પ્રમોશન અપાયું છે. તથા વન વિભાગે પ્રમોશનના આદેશ કર્યા છે.
રાષ્ટ્રિય ખનિજ ચિંતન શિબિર-2026નું આયોજન
રાષ્ટ્રિય ખનિજ ચિંતન શિબિર-2026નું આયોજન કરાયુ છે. જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખનિજ ચિંતન શિબિર યોજાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી સીઆર પાટીલ હાજર રહેશે. તથા જી કિશન રેડ્ડી તથા ડો.મનસુખભાઈ માંડવિયા હાજરી આપશે.
ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ સામે આવ્યો
ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ સામે આવ્યો છે. જેમાં પીંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પીંડારડાના રહેવાસીનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પીંડારડા ગામમાં બે આરોગ્યની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તથા પશુપાલન વિભાગ પણ સતર્ક થયુ છે. જેમાં સર્વેલન્સ, દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.


