Hakabha Gadhvi On Jetpur Andolan: જેતપુરના ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંદોલનને સમર્થન આપનાર જાણીતા લોકગાયક હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે અનેક મોટા ખુલાસા કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
હકાભા ગઢવી ખેડૂતોના સમર્થનમાં જેતપુર આંદોલનમાં જોડાયા હતા. આ દરમિયાન તેમની અને નિલેશ એરવાડિયા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો. ત્યારે આ મામલે હકાભાના જણાવ્યા અનુસાર, સરકાર સાથેની મંત્રણા માટે જ્યારે તેઓએ નિલેશ એરવાડિયા સાથે વાત કરી, ત્યારે નિલેશ અડવાડિયાએ આંદોલનને પલટાવી દેવા માટે અને સરકાર પાસે માંગણી રજૂ કરવા માટે અગાઉથી 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
1 કરોડના ભાગબટાઈની ઓફર?
હકાભા ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, નિલેશ એરવાડિયા એ તેમને કહ્યું હતું કે, "સરકાર પાસે 25 કરોડની માંગણી કરો અને વાતચીત કરવા જતી વખતે 2 કરોડ રૂપિયા એડવાન્સ લો, જેમાં 1 કરોડ રૂપિયા તમારા અને 1 કરોડ મારા." આ વાત સાંભળી હકાભા સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમને આ બાબતે ખૂબ જ ગ્લાનિ અનુભવાઈ હતી. હકાભાએ જણાવ્યું હતું કે, તેઓ આંદોલનમાં ખેડૂતોના સમર્થન માટે આવ્યા હતા, કોઈના ખિસ્સા ભરવા માટે નહીં.
ગદ્દારીનો આરોપ અને સુરક્ષાની માંગ
હકાભા ગઢવીએ નિલેશ એરવાડિયા ને 'વિભીષણ' અને 'ગદ્દાર' ગણાવતા કહ્યું કે, આ વ્યક્તિ ખેડૂતોને માત્ર હાથો બનાવી પોતાના ફાયદા માટે આંદોલન ચલાવી રહ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, નિલેશ ઉપવાસના નામે નાટક કરતો હતો અને આંદોલન દરમિયાન દારૂના સેવન જેવી વાતો કરતો હતો. આ ખુલાસા બાદ પોતાના અને પોતાના પરિવાર માટે હકાભા ગઢવીએ પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે.
અંતમાં, હકાભા ગઢવીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ હંમેશા ખેડૂતોના હિતમાં તેમની સાથે ઉભા રહેશે અને આ આંદોલન ખેડૂતોનું છે, જે સફળ થયું છે. તેમણે ખેડૂતોને આવા ગદ્દારોથી સાવધ રહેવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Gujarat Weather : રાજયમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું નાવ કાસ્ટ બુલેટિન કર્યુ જાહેર