Ahmedabad Viramgam: વિરમગામમાં વીજ પુરવઠાની સમસ્યાથી લોકો ત્રસ્ત, GEB કચેરીએ લોકોનો હોબાળો
Ahmedabad Viramgam Power Cut: અમદાવાદના વિરમગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત અને વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી કંટાળેલા સ્થાનિક રહીશોનો આક્રોશ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા રહીશોએ પોતાની વ્યથા ઠાલવવા માટે સ્થાનિક GEB કચેરીનો દરવાજો ખખડાવ્યો હતો.
વિરમગામમાં વીજ પુરવઠાની સમસ્યાથી લોકો પરેશાન
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને રાત્રિના સમયે વીજળી વારંવાર ગુલ થઈ જાય છે, જેના કારણે આખી રાત અંધારા અને પંખા વગર વિતાવવી દુષ્કર બની રહી છે. હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વીજળીના અભાવે નાના બાળકો, વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. સ્થાનિકોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, જ્યારે પણ લાઈટ જાય છે ત્યારે ફરિયાદ કરવા માટે ફોન કરવામાં આવે છે, પરંતુ GEBના કર્મચારીઓ ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી. આ પરિસ્થિતિને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
GEB સામે જનતાનો આક્રોશ
સ્થાનિક રહીશ જયેશ જાદવે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "અમે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. આખી રાત અંધારામાં અને પંખા વગર અમે કેવી રીતે રહીએ? અમારી સહનશક્તિ હવે ખૂટી ગઈ છે."
આ પણ વાંચો: Gujarat News Today: આજે 03 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


