Rathyatra 2025 : અમદાવાદમાં 148મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ, આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજશે
- અમદાવાદમાં 148મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ
- મંદિર પરિસરમાં ભગવાનની નજર ઉતારવામાં આવશે
- ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીને નિજ મંદિરમાં પુનઃસ્થાપન કરાશે
Rathyatra 2025 : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ હતી. ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસે યોજાઈ રહી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) અમદાવાદનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરે ( Jamalpur Jagannath Temple) પરિવાર સાથે મંગળા આરતીમાં સહભાગી થયા હતા અને ભગવાન જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રાની આરતી ઉતારીને ભગવાન પાસે સર્વે નાગરિકોનાં સુખી, સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે પહિંદ વિધિ કર્યા બાદ થઈ હતી. જેમાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને મુખ્યમંત્રીએ ભગવાનના રથનો દોરડો ખેચ્યો હતો.
‘જય રણછોડ, માખણચોર’ના નાદથી અમદાવાદ ગૂંજી ઉઠ્યું
અમદાવાદમાં ગતરોજ 27 જૂન, 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી ઐતિહાસિક રથયાત્રા પરંપરાગત ઉત્સાહ અને ભક્તિના અનેરા રંગો સાથે યોજાઈ હતી. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષથી અમદાવાદ શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. જ્યાં ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાએ લાખો ભક્તોના હૃદયમાં આનંદનો સંચાર કર્યો હતો. રથયાત્રાનો આ પવિત્ર ઉત્સવ શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રારંભ થયો, જ્યાં રથને ભવ્ય શણગાર સાથે શોભાયાત્રામાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તાઓ પર ઉભરાતી ભીડમાં ભક્તોની ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતા હતા.
આ પણ વાંચોઃ Rashifal 28 June 2025 : આજે રચાતા રવિ યોગને કારણે આ રાશિના જાતકો પર ભગવાન શનિની થશે વિશેષ કૃપા
વિવિધ ઝાંખીઓથી સજ્જ ટ્રકો અને અખાડાઓ
રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 10 ભજન મંડળીઓ જોડાયા હતા. આ યાત્રાને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ ઝાંખીઓથી સજ્જ ટ્રકો અને અખાડાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો અને યુવાનો દ્વારા અવનવા કરતબો રજૂ કરવામાં આવ્યા. આકર્ષક ઝાંખીઓમાં રંગબેરંગી સજાવટ અને પરંપરાગત નૃત્યોનું પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. બાળકોના કરતબો, જેમાં શારીરિક કૌશલ્ય અને સાંસ્કૃતિક રજૂઆતોનો સમાવેશ થયો હતો. જેણે ભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઝાંખીઓએ યાત્રાને માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવનું સ્વરૂપ આપ્યું હતું.
નિજ મંદિરમાં પુનઃસ્થાપન કરાશે
અમદાવાદમાં 148મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ હતી. રાત્રે 9.30 કલાકે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. રાત ભર ત્રણેય ભગવાનના રથ મંદિર પરિસરમાં રહ્યા હતા. આજે ભગવાન જગન્નાથજીને મંદિરમાં બિરાજમાન કરાશે. મંદિર પરિસરમાં ભગવાનની નજર ઉતારવામાં આવશે. જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીને નિજ મંદિરમાં પુનઃસ્થાપન કરાશે.