ગુજરાત ATS પાસેથી તપાસ હવે NIA ના હસ્તક!, થઈ શકે છે મોટા ખુલાસા
- રિસિન ઝેર થકી આતંકી હુમલા મામલો હવે NIA તપાસ કરશે
- સમગ્ર કેસની તપાસ ગુજરાત ATS પાસેથી NIA ને સોંપવામાં આવી
- ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કરાયા આદેશ
ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દેનારા 'રિસિન' (Ricin) ઝેર દ્વારા આતંકી હુમલાના કાવતરાની તપાસમાં હવે કેન્દ્રીય સંસ્થાઓ સક્રિય થઈ છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ આ સમગ્ર કેસની તપાસ હવે ATS પાસેથી લઈને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપવામાં આવી છે. અમદાવાદ સ્થિત NIA ની બ્રાન્ચમાં આ મામલે પુનઃ ગુનો દાખલ કરીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
ગત 9 નવેમ્બરના રોજ ગુજરાત એટીએસ દ્વારા એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ભયાનક આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન ત્રણ શંકાસ્પદ આરોપીઓ ડૉ. અહેમદ મોહીઉદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી જામઘાતક હથિયારો અને અત્યંત ઝેરી ગણાતું 'રિસિન' કેમિકલ (ઝેર) મળી આવ્યું હતું. આ રિસિન ઝેરનો ઉપયોગ મોટા પાયે જાનહાનિ કરવા માટે થવાનો હતો તેવી આશંકા સેવાઈ રહી છે.
આ કેસની ગંભીરતાને જોતા રિસિન ટેરર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા માટેના કડક કાયદા 'ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ' એટલે કે UA(P)A 1967ની કલમ 13 અને 18મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
NIA તપાસ કેમ?
આ કાવતરાના તાર માત્ર ગુજરાત પુરતા મર્યાદિત ન હોઈ, અન્ય રાજ્યો અને સંભવિત રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા હોવાની આશંકા છે. રિસિન જેવું જૈવિક ઝેર (Biological Weapon) મેળવવું અને તેનાથી હુમલાનું આયોજન કરવું એ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ હવે NIA એ જોશે કે આ આરોપીઓને ફંડિંગ ક્યાંથી મળતું હતું અને તેમની પાછળ કયા આતંકી સંગઠનોનો હાથ છે. અમદાવાદ NIA બ્રાન્ચ હવે તમામ પુરાવાઓ કબજે કરી આગળની કાર્યવાહી તેજ કરશે.
આ પણ વાંચોઃ Gujarat: જાણો કેમ લાગ્યો A4 સાઈઝ પેપરના પરિપત્ર પર હાલ પુરતો સ્ટે?


