Ahmedabad: MK શાહ મેડિકલ કોલેજમાં 'શ્વાસ લેવા' પર પ્રતિબંધ? પ્રોફેસરના ત્રાસથી 10 વિદ્યાર્થીઓ ગાયબ!
- અમદાવાદ (Ahmedabad) MK શાહ મેડિકલ કોલેજ (MK Shah Medical College) માં PG વિદ્યાર્થીઓની સતામણીનો મામલો
- મેડિકલ કોલેજ પ્રશાસન તરફથી સતામણી મામલે પ્રતિક્રિયા
- વિદ્યાર્થીઓના આરોપ અંગે ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવી
- ફરિયાદ કરનાર 10 વિદ્યાર્થીઓ 5 દિવસથી ફરજ પર આવ્યા નથી
- ડૉ. તીર્થ પટેલને તાત્કાલિક રજા પર મૂકી દેવાયા
Ahmedabad: અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજ (MK Shah Medical College) માં પીજી વિદ્યાર્થીઓ સાથે રેગિંગ અને માનસિક સતામણીનો ગંભીર મામલો સામે આવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે કોલેજ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે અને જવાબદાર પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
Ahmedabad ની MK શાહ મેડિકલ કોલેજ વિવાદમાં
ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમ.કે. શાહ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. તીર્થ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ડૉ. પટેલ તેમને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેઈલમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે પ્રોફેસર તેમને દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફની હાજરીમાં અપમાનિત કરતા હતા.
મેડિકલ કોલેજના પ્રોફેસર સામે ગંભીર આરોપ
વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે પ્રોફેસર તેમને અવારનવાર ગાળો આપતા હતા અને "જ્યાં સુધી હું મંજૂરી ન આપું ત્યાં સુધી શ્વાસ પણ નહીં લેવાનો" તેવી ધમકીઓ આપતા હતા. આ ઉપરાંત, વીડિયો કોલ કરીને પજવણી કરવી, અંગત કામો કરાવવા માટે દબાણ કરવું અને વિદ્યાર્થીઓના વ્યક્તિગત જીવન પર ટિપ્પણી કરવા જેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. નાની નાની બાબતોમાં સજા કરવી અને મેમો આપવાની વાત પણ સામે આવી છે.
Ahmedabad MK Shah Medical College Controversy : "મંજૂરી વગર શ્વાસ પણ ન લેતા" - એમ.કે. શાહ કોલેજના પ્રોફેસર વિવાદમાં | Gujarat First
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની MK શાહ મેડિકલ કોલજ વિવાદમાં
ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે આક્ષેપો
આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ… pic.twitter.com/NMSUixi5XK— Gujarat First (@GujaratFirst) January 31, 2026
કોલેજ પ્રશાસનની કાર્યવાહી
આ મામલો ગરમાતા કોલેજ પ્રશાસને તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે:
તપાસ કમિટીની રચના: સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
ડૉ. તીર્થ પટેલને રજા પર ઉતારાયા: તપાસ પ્રક્રિયાને કોઈ પણ પ્રકારની અસર ન થાય તે માટે આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.
નિવેદનોની નોંધણી: પ્રશાસન દ્વારા ડૉ. તીર્થ પટેલનું પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું છે અને હવે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વિદ્યાર્થીઓની સ્થિતિ
રેગિંગ અને સતામણીનો ભોગ બનેલા અંદાજે 10 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી પોતાની ફરજ પર હાજર થયા નથી, જે આ મામલાની ગંભીરતા દર્શાવે છે. કોલેજ દ્વારા આ વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ મામલે જાણ કરવામાં આવી છે. રેસિડન્ટ ડોક્ટર સંગઠને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પીડિત વિદ્યાર્થીઓને સમર્થન આપી ન્યાયની માંગ કરી છે.
હાલમાં આ મામલે તપાસ તેજ બની છે. જો આરોપો સાબિત થશે, તો જવાબદાર પ્રોફેસર વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન (NMC) ના નિયમો મુજબ વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: Surat IT Raid: સુરત IT દરોડામાં હવાલા નેટવર્ક અને કરોડોના રોકડ વ્યવહારોનો મોટો પર્દાફાશ


