ઉઘરાણીના મામલે Ahmedabad માં ફાયરિંગ, રાહદારી સહિત બેને ગોળી વાગી
Ahmedabad : રથયાત્રા સમયે અગ્નિ શસ્ત્રના અનેક કેસ અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) નોંધી આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આમ છતાં આજની તારીખે અમદાવાદમાં અનેક શખ્સો પાસે ગેરકાયદેસર રિવૉલ્વર/પિસ્તોલ/તમંચા જેવા હથિયારો છે. આ વાતનો પુરાવો Ahmedabad શહેરમાં શુક્રવારની રાતે બનેલી ફાયરિંગની ઘટના છે. ફાયરિંગની ઘટનામાં ગોલી વાગવાથી એક બિલ્ડર અને એક રાહદારી એમ બે લોકો ઘાયલ થયાં છે. કારંજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે. ફાયરિંગ તેમજ મારામારીની ઘટનામાં ઘાયલ થયેલા શખ્સો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અત્રે નોંધનીય છે કે, ફાયરિંગ અને મારામારીની ઘટનામાં અન્ય શખ્સો સામેલ છે અને હુમલામાં વપરાયેલી પિસ્તોલ નદીમાં ફેંકી દીધી હોવાની વાત સામે આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ઈજાગ્રસ્ત બિલ્ડરના પત્નીએ શું નોંધાવી છે ફરિયાદ ?
અમદાવાદ રાયખડ પોલીસ લાઈનની સામે સીફા રેસીડેન્સીમાં રહેતા શોજીનબાનુ નાસીરખાન પઠાણે કારંજ પોલીસ (Karanj Police Station) ને ઝહુરૂદીન કમરૂદીન નાગોરી સામે ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર શાજીનબાનુના પતિ નાસીરખાન સિકંદરખાન પઠાણ ઉર્ફે ખન્ના અને શાહપુર રંગીલા પોળના નાકે રહેતો ઝહુરૂદીન નાગોરી ભાગીદારીમાં વર્ષ 2018થી 2021 દરમિયાન કન્સ્ટ્રકશનનો ધંધો કરતા હતા. રૂપિયાની લેવડદેવડના વિવાદમાં બંને ભાગીદારો છૂટા પડ્યાં હતાં અને ઝહુરૂદીનને નાસીરખાન પાસે રૂપિયા લેવાના નીકળતા હતા. જો કે, નાસીરખાન ઉર્ફે ખન્ના વારંવારંની ઉઘરાણી થવા છતાં તેઓ રૂપિયા આપતા ન હતા. શુક્રવારે રાતે નાસીરખાન તેમના ઘરેથી મોડી રાતે બહાર નીકળ્યા હતા. દરમિયાનમાં પોણા બાર વાગ્યાના સુમારે નાસીરખાન તેમના મિત્રો ઈકબાલ કુરેશી, જાવેદ કાગદી અને ભત્રીજા જમાઈ યુસુફ સૈયદ સાથે ઈટાલિયન બેકરી પાસે ઉભા હતા. આ સમયે ટુ વ્હીલર પર આવેલા ઝહુરૂદીન નાગોરીએ નાસીરખાન સાથે રૂપિયાની ઉઘરાણી કરતાં બંને વચ્ચે ઝગડો થતા ઝહુરૂદીને તેની પાસે રહેલી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાં નાસભાગ થઈ ગઈ હતી. ઝહુરૂદીને કરેલા ફાયરિંગમાં નાસીરખાન અને રાહદારી ઉજેફ ફરીદમીંયા કાગદીને ગોળી વાગતા બંને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
રાયોટિંગનો પણ ગુનો નોંધવામાં આવ્યો
મોડી રાતે આઈ.પી. મિશન સ્કુલ નજીક ઈટાલિયન બેકરીની સામે બનેલી ફાયરિંગની ઘટનાના પગલે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચ દોડતી થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને એસવીપી હૉસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. દરમિયાનમાં હુમલાખોર ઝહુરૂદીન નાગોરી હૉસ્પિટલ ખાતે પહોંચતા નાસીરખાનના સાગરિતોએ તેના પર હુમલો કર્યો હતો. આ મામલે એલિસબ્રિજ પોલીસે કાર્યવાહી આરંભી છે. રાયોટિંગની ઘટનામાં ઝહુરૂદીન ઘાયલ થતાં તેને પણ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો છે.
પોલીસ નદીમાં પિસ્તોલ શોધી રહી છે
શુક્રવારે મોડી રાતે ફાયરિંગની ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાની સતત માહિતી મેળવી રહ્યાં છે. હૉસ્પિટલ ખાતે ટોળાએ કરેલા હુમલાની ફરિયાદ Ahmedabad ના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન (Ellisbridge Police Station) ખાતે શનિવારે બપોરે દોઢ વાગ્યા સુધી નોંધાઈ નથી. જયારે કારંજ પોલીસે ફાયરિંગના સ્થળેથી મેગઝીન અને કારતૂસ કબજે કર્યા છે, પરંતુ પિસ્તૉલ મળી આવી નથી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પિસ્તૉલ નદીમાં નાંખી દીધી હોવાનું જણાવ્યું છે. આ માહિતીના પગલે પોલીસ ફાયરબ્રિગેડ અને એફએસએલ અધિકારીની હાજરીમાં પિસ્તૉલ શોધવા પ્રયત્નશીલ બની છે.
આ પણ વાંચો : અમદાવાદમાંથી કિંમતી વિદેશી પક્ષીઓ ચોરાયા, Kankaria Zoo માંથી બે મિલેટ્રી મકાઉ ચોરાયા હતા