UPSC Prelims 2026: ગુજરાત સહિત દેશભરમાં UPSC પ્રિલિમ પરીક્ષા, IAS-IPS બનવા લાખો ઉમેદવારો મેદાને
- આજે ગુજરાત સહિત દેશભરમાં UPSC પ્રિલિમ પરીક્ષા
- IAS અને IPS બનવા યુવાનોમાં ભારે ઉત્સાહ
- રાજ્યભરમાં 35 હજારથી વધુ ઉમેદવારોની પરીક્ષા
- અમદાવાદના 51 સેન્ટરો પર પરીક્ષાનું ખાસ આયોજન
- રાજકોટમાં 2400થી વધુ ઉમેદવારોની પરીક્ષા
UPSC Prelims 2026: આજે ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. IAS અને IPS બનવાનું સપનું સેવતા લાખો યુવાનો માટે આ પરીક્ષા અત્યંત મહત્વની માનવામાં આવે છે. દેશભરમાંથી અંદાજે 8 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી ગુજરાત રાજ્યભરમાંથી પણ મોટી સંખ્યામાં એટલે કે 30,000 થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
અમદાવાદ (Ahmedabad) માં 51 કેન્દ્રો પર UPSC ની પરીક્ષાનો ધમધમાટ
અમદાવાદમાં UPSC પ્રિલિમ પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરમાં કુલ 51 જેટલા પરીક્ષા કેન્દ્રો (Examination Centers) ખાતે હજારો ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનું આયોજન બે સત્રમાં કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ પેપર સવારે 9.30 થી 11.30 વાગ્યા સુધી 'જનરલ સ્ટડીઝ' (General Studies) નું લેવામાં આવ્યું, જ્યારે બીજું પેપર બપોરે 2.30 થી 4.30 વાગ્યા દરમિયાન ગણિત અને રિઝનિંગ (Maths & Reasoning) આધારિત લેવામાં આવશે. કુલ 400 માર્ક્સની આ પરીક્ષા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત (Police Security) પણ ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટ (Rajkot) માં જામર (Jammer) ટેક્નોલોજીનો ઉપયોગ
રાજકોટ શહેરમાં પણ UPSC પરીક્ષાને લઈને ચુસ્ત વ્યવસ્થા જોવા મળી હતી. શહેરમાં આવેલા કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર 2,400 થી વધુ ઉમેદવારો નોંધાયા છે, જેઓ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અહીં પહોંચ્યા હતા. પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે તંત્ર દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રો પર સીસીટીવી (CCTV) ના બદલે ખાસ 'જામર' (Jammer) લગાડવામાં આવ્યા છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય. તમામ કેન્દ્રો પર પ્રવેશ આપતા પહેલા ઉમેદવારોનું અત્યંત કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ઉમેદવારો પોતાની પસંદગીના કેન્દ્રો પર પહોંચ્યા હતા અને પરીક્ષા આપવા માટે તેઓ ભારે આત્મવિશ્વાસથી ભરપૂર જણાયા હતા. સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: Bhavnagar news: પશુપાલકો માટે ખુશખબર! સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં રેકોર્ડબ્રેક વધારો


