બેવડી ઋતુનો અહેસાસ વચ્ચે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? વૈજ્ઞાનિકે શું જણાવ્યું
- અમદાવાદમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે
- દિવસ દરમિયાન ઉનાળો અને રાત્રે શિયાળા જેવી અનુભુતી
- દક્ષિણના પવનોના કારણે ધીરે ધીરે ગરમી વધશે અને ઉનાળો આવશે
અમદાવાદ : હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણઆવ્યું કે, આગામી સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. ત્યાર બાદ પાંચ દિવસમાં તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નોંધાશે નહીં.
ઠંડીમાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે
ધીરે ધીરે ઠંડી ઘટી રહી છે અને ગરમી સતત વધી રહી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજ્યના લઘુતમ તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સવારે અને મોડી સાંજ બાદ જ ઠંડીનો અનુભવ થાય છે. જ્યારે દિવસ દરમિયાન ભારે ગરમીનો અનુભવ થાય છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, આગામી સાત દિવસમાં ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. ત્યાર બાદ ધીરે ધીરે વધશે. હાલ સિઝન બદલાઇ રહી છે. જેના કારણે ગરમીમાં વધારો થયો છે. હાલ લઘુતમ તાપમાન યથાસ્થિતિ જ છે પરંતુ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. પૂર્વ તરફથી પવન ફુંકાશે તો દક્ષિણમાં સામાન્ય ગરમી નોંધાશે.
આ પણ વાંચો : INDvsENG: આજે મોદી સ્ટેડિયમમાં મેચના પગલે અમદાવાદના આટલા રસ્તાઓ રહેશે બંધ
હવામાન વિભાગ દ્વારા અપાઇ માહિતી
હવામાન વિભાગની માહિતી અનુસાર મંગળવારે ગુજરાતનુ સૌથી નીચુ તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 12.5, અમદાવાદમાં 14, રાજકોટ વડોદરામાં 15.8, સુરતમાં 18 ડિગ્રી, ડીસામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 14.0 જ્યારે મહત્તમ 33.4 નોંધાયુ છે. પવનની દિશા બદલાવાને કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : Mahakumbh : માઘ પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, આજે 2.5 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે!