મહારાષ્ટ્રની ભાખરી ખાઇને ગુજરાતની ચાકરી શા માટે?
લોકસભાની ચૂંટણી(LOK SABHA ELECTIONS)ના ત્રીજા તબક્કાનો પ્રચાર વધુ અને વધુ ઉગ્ર બનતો જાય છે અને શરદ પવાર જૂથની એનસીપીના બીડના ઉમેદવાર દ્વારા વહુએ સાસરે જ રહેવું જોઇએ તેવું મહિલાઓનું અપમાન કરતું નિવેદન કરવામાં આવ્યું ત્યાર બાદ તેમના વધુ એક ઉમેદવાર દ્વારા પ્રાંતવાદનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જાણીતા મરાઠી અભિનેતા તેમ જ શિરુર લોકસભા બેઠકના શરદ પવાર જૂથના ઉમેદવાર અમોલ કોલ્હેએ પોતાના પ્રચાર દરમિયાન ગુજરાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
મહારાષ્ટ્રની ભાખરી ખાઇને ગુજરાતની ચાકરી શા માટે?
તેમણે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તમે મહારાષ્ટ્રની ભાખરી ખાઇને ગુજરાતની ચાકરી શા માટે કરો છો? ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ કેેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતી હોવાના કારણે અવાર નવાર ગુજરાતીઓ અને ગુજરાતને રાજકીય આક્ષેપબાજીમાં સંડોવીને નકારાત્મક પ્રચાર કરતો આવતો હોવાનું જોવા મળ્યું છે.
બધો જ વિકાસ ફક્ત ગુજરાતમાં થતો હોવાનું અને ગુજરાતને વધુ નાણા ભંડોળ પૂરું પાડવામાં આવતા હોવાના આક્ષેપો છેલ્લાં દસ વર્ષમાં અનેક વખત કરવામાં આવ્યા છે અને હવે ચૂંટણી આવી છે ત્યારે પણ ગુજરાત પરિબળનો ઉપયોગ થઇ રાજકીય આક્ષેપબાજી માટે થઇ રહ્યો છે.
દેશ માટે ગુજરાતીઓ શહીદ નથી થતા
આ પહેલા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે પણ વડા પ્રધાન મોદી અને અમિત શાહની ટીકા કરતા વખતે દેશ માટે ગુજરાતીઓ શહીદ નથી થતા અને કૌભાંડો ફક્ત ગુજરાતીઓ જ કરતા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નીરવ મોદી, મેહુલ ચોકસી જેવા ભાગેડુંઓનો સંબંધ આખા ગુજરાતી સમાજ સાથે જોડીને ગુજરાતી સમાજની પ્રતિમાને ખરડાવવામાં આવી હોવાનો આ કિસ્સો હતો.
એટલે કે વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન બંને ગુજરાતી હોવાના કારણે ગુજરાત અને ગુજરાતીઓ રાજકારણીઓ માટે LOK SABHA ELECTIONS પ્રચારમાં સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે.
મહારાષ્ટ્રનિયને એમાંય મુંબઈની અર્થવ્યવસ્થાનો દોર ગુજરાતીઓના હાથમાં છે. ભૂતકાળમાં પણ ગુજરાતીઓનો વિરોધ થયેલો પણ આર્થિક રીતે મહારાષ્ટ્રની કમર તૂટી જશે એ જોતાં એ આંદોલન સમેટાઇ ગયેલું.
આ પણ વાંચો- Lok Sabha Elections 2024: અમેઠી રાયબરેલી બેઠકનું ગુંચવાયેલું કોકડું