Amreli: ચતુરી ગામે સિંહ હુમલામાં બાળક ગુમાવનાર પરિવારને મળ્યા વનમંત્રી, જાણો ગ્રામજનોએ શું કરી માગ?
અમરેલીના ચતુરી ગામે સિંહ હુમલામાં માસૂમ જીયાનના મોત બાદ વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઘટનાસ્થળે પહોંચી પરિવારને સાંત્વના પાઠવી હતી. ગ્રામજનોએ રેવન્યુ વિસ્તારમાંથી હિંસક પ્રાણીઓને ખસેડવાની અને સુરક્ષા માટે હથિયાર રાખવાની છૂટ આપવાની માગ કરી છે. સરકારે આ ઘટનાને ગંભીર ગણાવી સિંહોના વર્તનના અભ્યાસ અને સુરક્ષા માટે નવી એસ.ઓ.પી. બનાવવાની ખાતરી આપી છે.
Advertisement
Amreli News: અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલામાં માસૂમ જીયાનના કરુણ મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આજે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર સાથે ચતુરી ગામે પહોંચ્યા હતા. મંત્રીએ ઘટનાસ્થળનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને મૃતક બાળકના શોકગ્રસ્ત પરિવારને મળીને સંવેદના વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમિયાન વન વિભાગના વડા જયપાલ સિંહ, સીએફ (CF) અને ડીસીએફ (DCF) સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

