Banaskantha Accident: રણુજા દર્શન કરી પરત આવતાં પરિવારને નડ્યો અકસ્માત, 3 ના કરૂણ મોત
- Banaskantha Accident: રણુજાથી પરત ફરતા પરિવારને અકસ્માત
- નીલ ગાય વચ્ચે આવતાં ગાડી પલટી ગઈ
- અકસ્માતમાં 3 લોકોના મોત 3 લોકો ઈજાગ્રસ્ત
Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામ (Thavar village) માટે આજનો દિવસ અત્યંત દુઃખદ સાબિત થયો છે. રણુજાથી પરત આવતાં પરિવારની એક કારને ભારત માલા રોડ પર ભયંકર અકસ્મતા નડ્યો છે. નીલ ગાયને બચાવવા જતાં કાર પલટી ગઈ છે. આ અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થઈ ગયા છે. જ્યારે 3 ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા
પ્રાપ્ત વિગતો અનુસાર થાવર ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાન (Rajasthan) ના પ્રસિદ્ધ યાત્રાધામ રણુજા (Ranuja) ખાતે રામદેવપીરના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ભારત માલા રોડ પર તેમની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક નીલ ગાય રસ્તા પર આડી ઉતરી હતી. પ્રાણીને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી પલટી (Overturned) ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
લોકો દૂર-દૂર સુધી ફંગોળાયા
આ કરૂણ દુર્ઘટનામાં ગાડીમાં સવાર કુલ 6 લોકો પૈકી 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત (Deaths) નીપજ્યા છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Injured) થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે લોકો ગાડીમાંથી ઉછળીને દૂર-દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાકીદે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગામમાં શોકનો માહોલ
એક તરફ યાત્રાધામના દર્શન કરીને પરત ફરવાનો આનંદ હતો, ત્યાં બીજી તરફ આ અકસ્માતે ખુશીઓને માતમમાં ફેરવી નાખી છે. મૃતકોના સમાચાર મળતા જ ધાનેરાના થાવર ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગ્રામજનો અને સ્વજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું છે. ભારત માલા રોડ પર રખડતા ઢોર અને વન્ય પ્રાણીઓના કારણે અવારનવાર સર્જાતા અકસ્માતો હવે ચિંતાનો વિષય બની રહ્યા છે.
આ પણ વાંચોઃ Vav-Tharad: નાગલા ગામે લોહિયાળ ખેલ, જૂની અદાવતમાં આધેડ પર છરીના ઘા ઝીંકાયા, જાણો સમગ્ર મામલો


