ડામર ગાયબ, કાંકરી રાજ! થરાદ–ઢીમા રોડ પર વાહનચાલકો ત્રસ્ત
- કરોડોનો રોડ કે કાંકરીનો કહેર? ઢીમા–થરાદ માર્ગ પર રસ્તાનું કામ...
- યાત્રાધામ તરફનો રસ્તો બન્યો સજા સમાન: અધૂરા રોડથી વાહનચાલકો ત્રસ્ત
- ડામર ગાયબ, ધૂળ હાજર! ઢીમા–થરાદ રોડ પર રોજિંદો અકસ્માતનો ભય
થરાદથી યાત્રાધામ ઢીમાને જોડતા મુખ્ય માર્ગના પહોળા કરવાની કામગીરી કરોડોના ખર્ચે શરૂ તો કરાઈ, પરંતુ તે હવે સ્થાનિકો માટે મુસીબત બની ગઈ છે. લાંબા સમયથી ડામર કામ અધૂરું રહેતા ઉડતી ધૂળ અને બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકો તેમજ રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની ઢીલી નીતિને લીધે યાત્રાળુઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે, જેને પગલે આ કામ સત્વરે પૂર્ણ કરવાની માંગ ઉઠી છે.
વાહનચાલકોના જીવ જોખમમાં
વાવ, ધરણીધર અને રાજસ્થાનના બાખાસરને જોડતો આ અતિ મહત્વનો માર્ગ અત્યારે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. હજારો વાહનોની દૈનિક અવરજવર ધરાવતા યાત્રાધામ ઢીમાથી થરાદ રોડ પર ડામરને બદલે માત્ર કપચી પાથરીને છોડી દેવાતા અકસ્માતનો ભય વધી ગયો છે. ઉડતી કપચી અને બિસ્માર રસ્તાને કારણે યાત્રાળુઓ અને સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
ધૂળની ડમરીઓ અને કાંકરીના સામ્રાજ્ય વચ્ચે જોખમી મુસાફરી
માર્ગ પર ડામરના અભાવે અત્યારે માત્ર કાંકરી અને ધૂળના ઢગલા જ નજરે પડી રહ્યા છે, જેના કારણે આખો રસ્તો જોખમી બન્યો છે. અહીંથી પસાર થતા બાઈકચાલકો સ્લિપ થઈ રહ્યા છે, તો કાર અને ભારે વાહનોના ચાલકોને પણ ધૂળના ગોટાને કારણે રસ્તો જોવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્રની આ લાપરવાહીને કારણે વાહનચાલકો દરરોજ હાલાકી વેઠી રહ્યા છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
યાત્રિકોની આસ્થા અને વાહનચાલકોની સુરક્ષા જોખમમાં: અધૂરા રોડથી જનતા ત્રસ્ત
વાહનચાલકોના જણાવ્યા અનુસાર, ઢીમા-ઠેરીયાણા રોડનું કામ લાંબા સમયથી લટકી પડતા હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. રસ્તા પર પથરાયેલી કાંકરીઓને કારણે વાહનોના ટાયર ફાટવાના બનાવો વધી રહ્યા છે, જે ગંભીર અકસ્માતને નોતરે છે. ધરણીધર ભગવાનનું પવિત્ર મંદિર નજીક હોવાથી શ્રદ્ધાળુઓની સતત અવરજવર રહે છે, તેમ છતાં તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ માર્ગનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવતું નથી, જે અત્યંત આઘાતજનક છે.
સિંગલ પટ્ટી રોડ તાત્કાલિક શરૂ કરવા વિનંતી
સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ સરકારને આ બિસ્માર રોડની ગંભીરતા સમજવા અને કામગીરીમાં વેગ લાવવા આજીજી કરી છે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને, જ્યાં સુધી આખો રોડ તૈયાર ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછી એક તરફની સિંગલ પટ્ટી તાત્કાલિક ધોરણે વાહનો માટે ખુલ્લી મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, જેથી દૈનિક મુસાફરીમાં પડતી અસહ્ય હાલાકીમાંથી થોડી રાહત મળી શકે.
12 કિમીમાંથી 8 કિમીનું કામ સંપન્ન, બાકીનું કામ ટૂંક સમયમાં
રોડની કામગીરી અંગે સ્પષ્ટતા કરતા સ્ટેટ હાઇવેના અધિકારીએ જણાવ્યું હતું કે, કુલ 12 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 8 કિલોમીટરનું પ્રથમ લેયર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બાકી રહેલા 4 કિલોમીટરના અંતરની કામગીરી પણ પ્રગતિમાં છે અને તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી માર્ગને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની ખાતરી આપવામાં આવી છે.
અહેવાલ - યસપાલસિંહ વાઘેલા વાવ થરાદ
આ પણ વાંચો : Banaskantha: ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચકચારી 'ઓનર કિલિંગ' કેસમાં 9 આરોપીઓને આજીવન કેદ!


