Banaskantha:"મેં ભૂલ કરી કે હું ધારાસભ્ય ના બન્યો", ગબ્બર ઠાકોર સાથે વાત કરતા નવઘણજી ઠાકોરનું રાજકીય દર્દ છલકાયું
- Banaskantha: નવઘણજી ઠાકોર (Navghanji Thakor)-ગબ્બર ઠાકોર (Gabbar Thakor) ની વાતચીતનો આડિયો વાયરલ
- બંધારણ તોડવાના મામલે વાયરલ ઓડિયો આવ્યો સામે
- ગબ્બર ઠાકોરે કહ્યું માફી માંગનારને 15 વર્ષથી બોલાવતો નથી
- નવઘણજી ઠાકોરે કહ્યું આ બધા અમારી સામે 20 વર્ષથી છે
- નવઘણજીએ કહ્યું મને પણ દુઃખ થયું ધારાસભ્ય ન બન્યો
Banaskantha:બનાસકાંઠા (Banaskantha) માં ઠાકોર સમાજ ( Thakor community) દ્વારા બનાવવામાં આવેલા સામાજિક બંધારણને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. આ વિવાદ (controversy) વચ્ચે નવઘણજી ઠાકોર (Navghanji Thakor) અને ગબ્બર ઠાકોર (Gabbar Thakor) વચ્ચેની ટેલિફોનિક વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ ઓડિયોમાં સામાજિક બંધારણ, માફી અને રાજકીય કદને લઈને ગંભીર ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જો કે, આ વાયરલ ઓડિયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ કરતું નથી.
ગબ્બર ઠાકોરે માફી માંગનારાઓને લીધા આડેહાથ
વાયરલ ઓડિયોમાં ગબ્બર ઠાકોર અત્યંત નારાજગી વ્યક્ત કરતા સંભળાય છે. તેમણે સમાજમાં માફી માગનાર વ્યક્તિ પર નિશાન સાધતા કહ્યું કે, "જે કાકાએ સમાજ સમક્ષ માફી માંગી છે, તેમને હું છેલ્લા 15 વર્ષથી બોલાવતો નથી." ગબ્બર ઠાકોરના મતે, આ માફી કોઈ પસ્તાવો કરવા માટે નહીં, પરંતુ અન્ય લોકોને નીચું દેખાડવા માટે માંગવામાં આવી છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સમાજના આંતરિક જૂથવાદમાં આ માફી પ્રકરણ તેલ હોમવાનું કામ કરી રહ્યું છે.
નવઘણજી ઠાકોરની રાજકીય પીડા
નવઘણજી ઠાકોર આ ઓડિયોમાં પોતાની વ્યથા ઠાલવતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે, "આ લોકો અમારી સામે છેલ્લા 20 વર્ષથી છે." બંધારણના અમલીકરણ અને કાર્યક્રમોના આયોજન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ઓગડ ખાતે યોજાયેલી સભામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જેઓ ધારાસભ્ય કે સાંસદ હોય તે જ મંચ પરથી બોલી શકશે.આ વાતના સંદર્ભમાં નવઘણજીએ પોતાની રાજકીય સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, "તે દિવસે મને પણ એવું લાગ્યું કે મેં ભૂલ કરી કે હું ધારાસભ્ય ના બન્યો." આ નિવેદન દર્શાવે છે કે સામાજિક મંચ પર રાજકીય પદનું વર્ચસ્વ કેવું છે.
વિક્રમ ઠાકોરની વિનંતીનો કર્યો ઉલ્લેખ
ચર્ચામાં લોકગાયક વિક્રમ ઠાકોરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગબ્બર ઠાકોરે કહ્યું કે, આટલા મોટા મંચ પરથી વિક્રમ ઠાકોરે જ્યારે રિક્વેસ્ટ કરી ત્યારે પણ કોઈએ સાંભળ્યું નહીં. આ બાબતે નવઘણજીએ પણ સહમતી દર્શાવતા કહ્યું કે, આ ઘટનાથી તેમને પણ ખૂબ દુઃખ થયું છે.
નોંધનીય છે કે, જાબડીયા ઠાકોર સમાજની જે 'એકઠી' (સભા) યોજાઈ હતી, તેમાં પણ નવઘણજી ઠાકોર હાજર રહ્યા ન હતા. ઓડિયો ક્લિપ અને તેમની ગેરહાજરી પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવઘણજી ઠાકોર સમાજના એ સાઉન્ડ સિસ્ટમ વાળા જૂથની તરફેણ કરી રહ્યા છે જે આ વિવાદમાં કેન્દ્રસ્થાને છે.
ગુજરાત ફર્સ્ટની સ્પષ્ટતા
બનાસકાંઠામાં ઠાકોર સમાજના આંતરિક સમીકરણોમાં આ ઓડિયો ક્લિપ મોટી ઉથલપાથલ લાવી શકે છે. જોકે, સોશિયલ મીડિયામાં પ્રસારિત થઈ રહેલી આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ 'ગુજરાત ફર્સ્ટ' કરતું નથી.આ સમગ્ર વિવાદ હવે આગામી સમયમાં સમાજની એકતા કે સામાજિક સુધારા પર કેવા પ્રત્યાઘાતો પાડે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો: Ahmedabad: નવા નરોડામાં અગરબત્તીના ગોડાઉનમાં ભયાનક આગ, ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે


