Banaskantha News: આડા સંબંધના વહેમમાં યુવાનની હત્યા કરનાર 4 આરોપીને આજીવન કેદ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દિયોદરની એડિશનલ સેશન્સ કોર્ટે (Additional Sessions Court) એક સનસનીખેજ હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપતા ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ભાભરના મોતીસરી ગામના એક નિર્દોષ યુવાનની હત્યાના આ ગંભીર કેસમાં કોર્ટે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
એકજૂથ થઈને યુવાનની હત્યા કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ અંગત અદાવત અને વહેમ હતો. આરોપીઓએ મૃતક યુવાનને તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી હતી. આ વહેમના કારણે આરોપીઓએ એકજૂથ થઈને નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
કોર્ટનો કડક ચુકાદો
દિયોદર કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલ ડી.વી. ઠાકોરે મજબૂત પુરાવાઓ અને ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારી વકીલની દલીલોને માન્ય રાખી હતી. આઇપીસીની કલમ 302 હેઠળ ગુનો સાબિત થતા કોર્ટે મુખ્ય ચાર આરોપીઓ વીરચંદ ઠાકોર, દશરથ ઠાકોર, ચંદુજી ઠાકોર અને રણછોડજી ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચોઃ Vav-Tharad: નાગલા ગામે લોહિયાળ ખેલ, જૂની અદાવતમાં આધેડ પર છરીના ઘા ઝીંકાયા, જાણો સમગ્ર મામલો


