Banaskantha : ખરડોસણના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી જીવન બદલ્યું, અન્ય માટે પ્રેરણારૂપ બન્યા
- રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો પ્રવાહ જારી
- ખરડોસણ ગામના ખેડૂતે આત્મા પ્રોજેક્ટમાં જોડાઇને જીવન બદલ્યું
- હવે અન્યનું જીવન બદલવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે
Banaskantha : રાજ્યામાં પ્રકૃતિક ખેતી તરફ વળવાનો ખેડૂતોનો પ્રવાહ દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. બનાસકાંઠાના ખરડોસણ ગામના મોતીભાઈ રબારી છેલ્લા ચારથી પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, અને આજે તેઓ શાકભાજીની ખેતી દ્વારા વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. એક સમય એવો હતો, જ્યારે મોતીભાઈ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેના વધતા ખર્ચા, ઓછું ઉત્પાદન અને સ્વાસ્થ્ય પર થતી અસરોને કારણે તેઓ ચિંતિત બન્યા હતા. ત્યારબાદ આત્માની એક મિટિંગમાં ભાગ લીધા બાદ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો હતો.
અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ કાર્ય
આજે મોતીભાઈ રીંગણ, ડુંગળી, મરચાં, ફુલાવર, કોબીજ, શકરીયા સહિત અનેક પ્રકારની શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરે છે. માત્ર વેચાણ માટે જ નહીં પરંતુ પોતાના પરિવાર માટે પણ શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક તૈયાર કરે છે. પ્રાકૃતિક ખેતીથી તેમને સારો ઉત્પાદન, ઓછો ખર્ચ અને સ્થિર આવક મળી રહી છે. સાથે જ તેઓ અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી રહ્યા છે.
સ્વાસ્થ્ય માટે જોખમ લાગતું હતું
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મોતીભાઇનું કહેવું છે કે, “હું પહેલાં રાસાયણિક ખેતી કરતો હતો, પરંતુ તેમાં ખર્ચો ખૂબ વધતો હતો, અને ઉત્પાદન સામે પૂરતું મળતું નહતું. સાથે જ સ્વાસ્થ્ય માટે પણ જોખમ લાગતું હતું. આત્માની મિટિંગમાં ગયો ત્યારબાદ મને સમજાયું કે પ્રાકૃતિક ખેતીમાં ઘણા ફાયદા છે – ખર્ચ ઓછો, ઉત્પાદન સારું અને આરોગ્ય પણ સુરક્ષિત રહે છે.
આવક ઓછી લાગે તો પણ હિંમત ના હારશો
તેમણે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં થોડા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી, પરિણામ સારું આવ્યું એટલે આજે મારી આખી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું. રીંગણ, ડુંગળી, મરચાં, ફુલાવર, કોબીજ જેવી અનેક શાકભાજી ઉગાડું છું અને વર્ષે લાખો રૂપિયાની આવક થાય છે. હું બીજા ખેડૂતોને પણ કહું છું કે, શરૂઆતમાં આવક થોડી ઓછી લાગે તો પણ હિંમત ન હારશો, ધીરે ધીરે નિયમિત આવક થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે પણ પ્રાકૃતિક ખેતી બહુ જરૂરી છે.”
આ પણ વાંચો --------- Deesa : ખરડોસણ ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવતા થયા


