Bhavnagar News: પશુપાલકો પર આર્થિક સંકટ, ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા
Bhavnagar Grass Price Hike: ભાવનગર જિલ્લામાં ડીઝલના ભાવ વધારા અને ટ્રાન્સપોર્ટેશનના ઊંચા ખર્ચને કારણે પશુઓના ઘાસચારાના ભાવમાં તોતિંગ વધારો થયો છે. લીલી જુવાર અને સૂકી કડબ મોંઘી થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ ખાણ-દાણના ભાવ પણ વધતા પશુઓને પૂરતો ખોરાક આપવો મુશ્કેલ બન્યો છે. માલધારીઓએ સરકારી સહાય અને ભાવ નિયંત્રણની તાતી માગ કરી છે.
ઘાસચારાના ભાવમાં તોતિંગ ઉછાળો
ભાવનગર જિલ્લામાં પશુપાલકો હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પશુઓ માટેનો લીલો અને સૂકો ઘાસચારો સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યો છે. માત્ર પંદર દિવસના ગાળામાં લીલા ઘાસચારાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ ૨૦ કિલો લીલી જુવારનો ભાવ 70 રૂપિયાની આસપાસ હતો, જે હવે વધીને 90 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ભાવ વધારાને કારણે પશુપાલકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ટ્રાન્સપોર્ટેશન અને ડીઝલનો માર
આ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ ડીઝલના ભાવમાં થયેલો વધારો છે. ભાવનગર જિલ્લામાં ઘાસચારાની જરૂરિયાત પૂરી કરવા માટે ભરૂચ, સુરત અને ઉત્તર ગુજરાત જેવા દૂરના વિસ્તારોમાંથી ટ્રકો મારફતે ઘાસચારો મંગાવવો પડે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા આંધળા વધારાને કારણે સૂકી કડબના ભાવ હવે 150 થી 300 રૂપિયા સુધી પહોંચ્યા છે. આ આર્થિક બોજ પશુપાલકોની કમર તોડી રહ્યો છે, જેના કારણે અનેક પશુપાલકો પશુઓને નિભાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
વેપારીઓની સ્થિતિ અને ખાણ-દાણનો પ્રશ્ન
ફક્ત પશુપાલકો જ નહીં, પરંતુ ઘાસચારાના વેપારીઓ પણ આ સ્થિતિથી ચિંતિત છે. વેપારીઓનું કહેવું છે કે, જ્યાંથી માલ ખરીદવામાં આવે છે ત્યાંથી જ ભાવ ઊંચા મળે છે, જેના કારણે વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. આ ઉપરાંત, પશુઓના પોષણ માટે જરૂરી ખાણ અને દાણના ભાવ પણ આસમાને હોવાથી પશુપાલકો પશુઓને ઓછો ખોરાક આપવા મજબૂર બન્યા છે, જેની સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી રહી છે.
સરકાર પાસે ભાવ નિયંત્રણની માગ
ઘાસચારાના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જિલ્લાના માલધારીઓએ સરકાર પાસે માગ કરી છે કે ઘાસચારાના ભાવ પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે અને પરિવહન ખર્ચમાં રાહત આપવામાં આવે. જો સ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં પશુધનની સંખ્યા અને પશુપાલન વ્યવસાય પર ગંભીર અસર પડવાની દહેશત સેવાઈ રહી છે. પશુપાલકો હવે આશા રાખી રહ્યા છે કે વહીવટીતંત્ર યોગ્ય પગલાં ભરીને તેમને આ આર્થિક સંકટમાંથી બહાર લાવશે.
આ પણ વાંચોઃ Bhavnagar News: દીકરી પર થતો અત્યાચાર રોકવા જતાં જમાઈએ સસરાને પતાવી દીધા, કાળજું કંપાવતી ઘટના


