Bhavnagar માં ગરમીનો કહેર: ઝાડા-ઊલટીના 2500 કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું
- Bhavnagar Heatwave: શહેરમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા
- શહેરમાં અત્યાર સુધી 2500 કેસ નોંધાયા
- સર્વેલેન્સ ટીમો દ્વારા ઘરે ઘરે જઈ જાગૃતિ અભિયાન
Bhavnagar Heatwave: ભાવનગર શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. આ વધતા તાપમાનની સીધી અસર જનસ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. ઉનાળા દરમિયાન અત્યાર સુધીમાં શહેરમાં ઝાડા-ઊલટીના અંદાજે 2500 જેટલા કેસ નોંધાયા છે, જેમાં લૂ લાગવાને કારણે થયેલા કેસોનું પ્રમાણ 2483 જેટલું છે. જોકે, રાહતની વાત એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસોમાં 700 જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
17000 જેટલા ORS ના પેકેટોનું વિતરણ
આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ખાસ સક્રિયતા દાખવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની વિવિધ સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ ટીમો દ્વારા લૂથી બચવાના ઉપાયો, શું કરવું અને શું ન કરવું તે અંગેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. ગરમીના કારણે નિર્જલીકરણ (Dehydration) ન થાય તે માટે અત્યાર સુધીમાં 17000 જેટલા ORS ના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે.
27000 ક્લોરિનની ગોળીઓનો ઉપયોગ
પાણીજન્ય રોગચાળાને રોકવા માટે તંત્ર દ્વારા પાણીના શુદ્ધીકરણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત 27000 જેટલી ક્લોરિનની ગોળીઓ (Chlorine Tablets) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જાહેર સ્થળોએ ORS યુક્ત પાણીના જગ મૂકવામાં આવ્યા છે અને લોકજાગૃતિ માટે હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ સતર્ક
આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચકાય તેવી શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય નિયંત્રણ અધિકારી ડૉ. વિજય કાપડિયાના માર્ગદર્શન હેઠળ ટીમો સતત સર્વેલન્સ કરી રહી છે. જ્યારે પણ ઝાડા-ઊલટીનો કેસ નોંધાય છે, ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને કેસ વધુ ગંભીર ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
ગરમીમાં સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા આ બાબતોનું ધ્યાન રાખો
પુષ્કળ પાણી પીવો: તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અને ઓઆરએસ (ORS) નું સેવન કરો.
સૂતરાઉ કપડાં પહેરો: હળવા રંગના, છૂટ્ટા અને સુતરાઉ કપડાં પહેરો, જે શરીરને ઠંડક આપે છે.
માથું ઢાંકી રાખો: બહાર નીકળતી વખતે હંમેશા ટોપી, રૂમાલ કે છત્રીનો ઉપયોગ કરો. સીધો સૂર્યપ્રકાશ માથા પર ન પડે તેનું ધ્યાન રાખો.
તાજા ખોરાકનું સેવન: ઉનાળામાં પચવામાં હળવો હોય તેવો ખોરાક લો. ફળ, સલાડ અને લીલા શાકભાજીનું પ્રમાણ વધારો.
સીધા સંપર્કથી બચો: બપોરે 12:00 થી 4:00 વાગ્યા દરમિયાન સૂર્યના તાપમાં બહાર નીકળવાનું ટાળો. જો ખૂબ જ જરૂર હોય તો જ બહાર નીકળવું.
ઠંડી જગ્યાએ રહો: બને ત્યાં સુધી છાયડામાં કે પંખા/એસીની નીચે રહેવાનો પ્રયત્ન કરો.
શું ન કરવું?
ઠંડા પીણાથી સાવધ: ખૂબ વધારે ઠંડું કે બરફવાળું પાણી પીવાનું ટાળો, કારણ કે તે શરીરને આઘાત આપી શકે છે.
કેફીનનું સેવન: ચા, કોફી અને ખૂબ વધુ ખાંડવાળા પીણાં લેવાનું ટાળો, કારણ કે તે શરીરમાં પાણી ઘટાડે છે.
વાસી ખોરાક: બહારનો ઉઘાડો કે વાસી ખોરાક બિલકુલ ન ખાવો, કારણ કે ગરમીમાં તે ઝડપથી બગડી જાય છે અને ઝાડા-ઊલટીનું કારણ બને છે.
ભૂખ્યા પેટે બહાર ન નીકળવું: ખાલી પેટે ક્યારેય તડકામાં ન નીકળવું.
બાળકો અને વડીલોની કાળજી: બાળકો અને વૃદ્ધોને ગરમીની અસર જલ્દી થાય છે, તેથી તેમનું વિશેષ ધ્યાન રાખવું.
આ પણ વાંચોઃ Bhavnagar: યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, તો સામા પક્ષે કરી મારામારીની ફરિયાદ


