Bhavnagar News: રાજ્યભરના મંદિરોને નિશાન બનાવનાર અને 100 થી વધુ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર એક કુખ્યાત ચોર ટોળકીનો ભાવનગર એલસીબી (LCB) પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાવનગર પોલીસે બાતમીના આધારે પીપળીયા પુલ નજીકથી એક સફેદ કલરની સેલેરિયો કારમાં પસાર થઈ રહેલા બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં અતુલભાઈ ધકાણ અને ભરતભાઈ થડેશ્વરનો સમાવેશ થાય છે.
ભાવનગર LCB ની મોટી સફળતા
પકડાયેલા આ બંને આરોપીઓ અત્યંત ચતુર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેઓ ભક્તિ અને શ્રદ્ધાના આડમાં દર્શન કરવાના બહાને મંદિરોમાં જતા હતા. મંદિરમાં ભીડભાડનો લાભ ઉઠાવીને તેઓ ભગવાનની મૂર્તિ પર ચડાવેલા સોના-ચાંદીના દાગીના તેમજ મંદિરની દાનપેટીઓની ચોરી કરતા હતા. આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો છે. તેઓ ભાવનગર, અમરેલી, અમદાવાદ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા સહિતના વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૫ થી 16 ગુનાઓમાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે.
પોલીસે કાર સહિત 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગર એલસીબીની ટીમે બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરીને પીપળીયા પુલ પાસે નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે ચોરીમાં વપરાતી કાર, રોકડ રકમ, મોબાઈલ ફોન અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ડીવાયએસપી આર.આર. ડામોરનું નિવેદન
ભાવનગરના ડીવાયએસપી આર.આર. ડામોરે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓની ધરપકડ થવાથી રાજ્યના અનેક મંદિરોમાં થયેલી ચોરીના કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં અન્ય ગુનાઓનો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Surat ના વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટનો કેસ, પોલીસે વધુ 2 આરોપીની કરી ધરપકડ