Bhavnagar News: 'વેન્ટિલેટર કાઢી નાખતા મોત', સર ટી હોસ્પિટલ સામે દર્દીના પરિવાર આક્ષેપો
Bhavnagar News: ચાર દિવસ પૂર્વે ભાવનગર-ધોલેરા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નીરજ વ્યાસ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત અવસ્થામાં તેને સારવાર અર્થે તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નીરજની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. પરિવારજનોને આશા હતી કે તબીબી સારવારથી નીરજ સાજો થઈ જશે, પરંતુ એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર મામલાને વિવાદમાં મૂકી દીધો છે.
ઈસીજી લેવા વેન્ટિલેટર હટાવ્યાનો આક્ષેપ
પરિવારજનોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીનું ઈસીજી (ECG) લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ફરજ પરના સ્ટાફે વેન્ટિલેટર હટાવી દીધું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે, જે ગંભીર દર્દી વેન્ટિલેટર પર હોય, તેનું વેન્ટિલેટર કાઢવું જોખમી છે અને સ્ટાફની આ બેદરકારીને કારણે નીરજ વ્યાસે દરમિયાન જ દમ તોડ્યો છે.
પરિવારજનોમાં રોષ અને ન્યાયની માગ
નીરજ વ્યાસના મૃત્યુ બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમણે હોસ્પિટલના જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
હોસ્પિટલ તંત્રનું મૌન
હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા ન આવતા આ મામલો વધુ ગરમાયો છે. શું આ ખરેખર સ્ટાફની બેદરકારી છે કે પછી ટેકનિકલ પ્રક્રિયા દરમિયાન બનેલી કોઈ અનિચ્છનીય ઘટના? તે હવે તપાસનો વિષય છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
આ પણ વાંચોઃ Bhavnagar News: વલ્લભીપુરમાં પ્રજાના ટેક્સના પૈસાનું પાણી, ઘેલા નદીનું નાળું બન્યાના 3 મહિનામાં તૂટ્યું!


