બે આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા
ઘટનાની વિગત મુજબ, વર્ષ 2024 ના એક પોક્સો કેસમાં સાહિલ મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમાર હારુન નામના બે આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ જ્યારે કેસનો ચુકાદો વાંચવાની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે આ બંને આરોપીઓએ પોલીસને એવું કહ્યું હતું કે, "અમે અમારા વકીલને બોલાવીને આવીએ છીએ." આ બહાનું કાઢીને બંને આરોપીઓ કોર્ટરૂમની બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
આરોપીઓ ગેરહાજર જણાતા કોર્ટરૂમમાં દોડધામ
ચુકાદા સમયે આરોપીઓ ગેરહાજર જણાતા કોર્ટરૂમમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસની હાજરી હોવા છતાં આરોપીઓ આ રીતે ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station) માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવીને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. કોર્ટ પરિસરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ પોલીસ તપાસ કરી રહી છે જેથી આરોપીઓ કઈ તરફ ભાગ્યા છે તેનો તાગ મેળવી શકાય.
Ahmedabad: પોલીસને છકમો આપીને ફરાર થઈ ગયા
પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ આ રીતે પોલીસને છકમો આપીને ફરાર થઈ જાય તે સુરક્ષામાં મોટી બેદરકારી સૂચવે છે. હાલમાં નવરંગપુરા પોલીસ દ્વારા નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોપીઓ સાહિલ મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમારની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Surat: વરાછાના વેપારીઓની વ્હારે આવ્યા DyCM, સહાય માટે કલેક્ટર કચેરીમાં બેઠક