Ahmedabad : નહેરૂનગર ફાયરિંગ કેસમાં નિવૃત DYSP સહિત 3 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા
Ahmedabad : નહેરૂનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન ખાલી કરાવવાના મામલે નિવૃત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યુ હતુ અને સેટેલાઈટ પોલીસ દોડતી થઈ હતી. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતીએ કરેલી જામીન અરજી સેશન્સ જજ જયેશકુમાર આઈ. પટેલે નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામેના આક્ષેપો પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર જણાય છે. તેઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે તેમના પિતા પિસ્તોલ લઈને આવી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે તેઓ પોતાના પિતાના કૃત્ય અને હથિયાર લાવવા અંગે અગાઉથી પૂરેપૂરા માહિતગાર હતા.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા જામીન આપી શકાય નહીં
હાલમાં આ કેસની તપાસ અત્યંત મહત્ત્વના તબક્કે હોવાથી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા જામીન આપી શકાય નહીં. હવે આરોપીઓ ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરશે. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ત્રણે વતી કોર્ટમાં એવી રજૂઆત કરાઈ કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમની જમીન પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો.
View this post on Instagram
Ahmedabad police : હથિયાર પણ જમા કરી દેવાયું
મુખ્ય સરકારી વકીલ સુધીર બહ્મભટ્ટે અને મૂળ ફરિયાદીના વકીલ શ્રીધર દેરાસરીએ આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ફરિયાદી તરફથી આક્ષેપ કરાયો હતો કે આરોપી નિવૃત્ત ડીવાયએસપી હોવા છતાં કાયદાનો ડર રાખ્યા વિના પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લક્ઝુરિયસ કારમાં આવ્યા હતા અને જાહેર સ્થળે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાંથી બે રાઉન્ડ સીધા ફરિયાદીને નિશાન બનાવીને કરાયા હતા. પરંતુ ફરિયાદી ખસી જતાં બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના BNSS કલમ 183 મુજબના નિવેદન લેવડાવવા માટે તપાસનીશ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જેથી જામીન ન આપવા જોઈએ ત્યારબાદ કોર્ટે ત્રણેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
આ પણ વાંચો : Education : ટેકનિકલ કોલેજોના વિઝિટિંગ ફેકલ્ટીને હવે મળશે બમણાથી વધુ મહેનતાણું


