ભૂતકાળમાં ચોમાસા દરમિયાન બનેલી અઘરી પરિસ્થિતિઓમાંથી બોધપાઠ લઈને આ વખતે નાગરિકો ખુદ પોતાના રક્ષણ માટે આગળ આવ્યા છે. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર-2 સોસાયટીના રહીશોએ કુદરતી આપત્તિ સામે લડવા માટે અદ્ભુત સતર્કતા દાખવી છે.
પાણી સોસાયટીમાં અંદર ના આવે તેને લઈ સ્થાનિકો એલર્ટ
વરસાદી પાણી સોસાયટીના રેસિડેન્શિયલ કમ્પાઉન્ડ કે ઘરની અંદર ન પ્રવેશે તે માટે સ્થાનિક રહેવાસીઓએ ભેગા મળીને સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર રેતી ભરેલી બોરીઓ ગોઠવી દીધી છે.
પાણીના પ્રવાહને રોકવા માટે આ એક ખૂબ જ અસરકારક દેશી ઉપાય સાબિત થયો છે. અગાઉના વર્ષોમાં બેઝમેન્ટ કે નીચાણવાળા પાર્કિંગમાં પાણી ભરાવાથી કાર અને બાઇક ડૂબી જવાની અથવા નુકસાન થવાની ઘટનાઓ બની હતી. આ વખતે તે ભૂલ ન થાય તે માટે સ્થાનિકોએ સતર્કતા દાખવીને પોતાના વાહનોને સોસાયટીમાંથી બહાર કાઢીને સુરક્ષિત અને ઊંચા મુખ્ય રસ્તાઓ પર પાર્ક કરી દીધા હતા.
સોસાયટીની બહાર રેતી ભરેલી બોરી ગોઠવી
શ્રીનંદનગર-2 ના રહીશોની આ સામુહિક એકતા અને સમયસૂચકતા અન્ય સોસાયટીઓ માટે પણ એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે. તંત્ર દ્વારા પણ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે પમ્પીંગ સ્ટેશન અને રાહત ટીમોને સક્રિય કરી દેવામાં આવી છે.
મોડી રાતથી શરૂ થયેલા વરસાદ અને ઉપરવાસ તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની દહેશતના કારણે શહેરવાસીઓનો રાત્રિનો સમય ભારે અસમંજસ અને ડર વચ્ચે વીત્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના ડરે લોકોને જાગતા રહેવાની ફરજ પાડી હતી.
આ પણ વાંચો : Vadodara Rain : વાઘોડિયા-ડભોઇ રોડ બંધ, ઢાઢર નદીના પાણી GIDCમાં ફરી વળતા નોકરિયાતો અટવાયા