બનાસકાંઠાના અંબાજી પાસેના રીંછડી ગામમાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. વિકાસકામો ચાલતા હોવાથી તળાવમાં ખાડા કરવામાં આવ્યા હતા, પરંતુ સાવચેતીના કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ બેદરકારીને લીધે ત્રણ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે.
Banaskantha News: બનાસકાંઠાના અંબાજી નજીકના રીંછડી ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં ત્રણ માસૂમ બાળકોએ તળાવમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે. પાનસા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના આ ગામમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સાત, આઠ અને દસ વર્ષની વયના આ બાળકો પર મોતનું આભ તૂટી પડતા પરિવારો આઘાતમાં સરી પડ્યા છે.
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના આક્ષેપ
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રીંછડી તળાવમાં હાલ કરોડો રૂપિયાના વિકાસકામો ચાલી રહ્યા છે. આ કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા તળાવમાં ખૂબ જ ઊંડા ખાડા કરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના સાવચેતીના બોર્ડ કે સૂચના પાટિયા મૂકવામાં આવ્યા નથી. એટલું જ નહીં, આ જોખમી સ્થળે કોઈ સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા ન હોવાથી નિર્દોષ બાળકો મોતને ભેટ્યા છે. બે સગા ભાઈઓ સહિત ત્રણ બાળકોના આ મોત પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.
Banaskantha: પરિવાર પર આભ તૂટી પડ્યું
નાહવા ગયેલા બાળકોને ખ્યાલ પણ નહોતો કે આ તળાવ તેમના માટે મોતનું કારણ બનશે. આ દુર્ઘટનાએ ગરીબ પરિવારો પાસેથી તેમનું સર્વસ્વ છીનવી લીધું છે. તંત્ર દ્વારા વિકાસકામોની આડમાં કરવામાં આવેલી આ બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ કંપની સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat New DGP: ગુજરાત પોલીસને નવા વડા મળ્યા, જ્ઞાનેન્દ્ર સિંહ મલિક બન્યા રાજ્યના નવા DGP