કુંભારિયાના સર્વે નંબર 189/2 (રી સર્વે નંબર 267) આદિવાસી ખાતેદારની જમીન થયેલ ગેરરીતિ બાબતે ચાર અધિકારીઓ તપાસ કરશે. જેમાં અધિક કલેક્ટર પાલનપુર, મદદનીશ કલેકટર દાંતા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીપાલનપુર, અધિક ચીટનીશ ટુ પાલનપુર કલેકટર કચેરી તપાસ કરશે.
કુંભારિયા જમીન મામલે કલેકટર એક્શન મોડમાં
કુંભારિયા ગ્રામ પંચાયતના મરણ રજીસ્ટરના તમામ રેકોર્ડ કબજે લેવાયા છે અને તપાસ સમિતિમાં સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે પાંચ દિવસમાં રિપોર્ટ આપવો અને જે લોકો સામે કાર્યવાહી કરવાની આવશે તે કરવામાં પણ આવશે તો દાંતા તાલુકામાં જમીન કૌભાંડમાં આવનારા સમયમાં બીજી જમીનોના કૌંભાડ પણ સામે આવે તેવી શક્યતા છે.
આ કૌભાંડની વિગતો એટલી આશ્ચર્યજનક છે કે સરકારી તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. જમીન માલિક મહિલાનું અવસાન થયું હોવા છતાં, કલેક્ટર કચેરીમાં તેમની જગ્યાએ એક અન્ય ભળતી જ મહિલાને હાજર રાખવામાં આવી હતી. આ બોગસ મહિલાએ પોતે નિઃસંતાન હોવાનું ખોટું સોગંદનામું રજૂ કરી જમીન વેચાણની મંજૂરી માંગી હતી.
મહિલાને જીવતી બતાવી કલેક્ટર કચેરીમાં અંગૂઠો મરાવ્યો
21 ઓગસ્ટ 2014ના રોજ રામીબેનનું કુદરતી રીતે મૃત્યુ નીપજ્યું હતું. તેમના અવસાનના ચાર દિવસ બાદ પુત્ર જોધાભાઈએ કુંભારીયા ગ્રામ પંચાયતમાં મરણની કાયદેસર નોંધ પણ કરાવી દીધી હતી. નિયમ મુજબ આ જમીન પર વારસદારોના નામ ચઢવાની પ્રક્રિયા શરૂ થવી જોઈતી હતી, પરંતુ રામીબેનના મૃત્યુના 15 દિવસ બાદ કલેક્ટર કચેરીએ આ ફાઈલ હાથ પર લીધી.
15 સપ્ટેમ્બર 2014ના રોજ રાખવામાં આવેલી રૂબરૂ સુનાવણીના સરકારી રેકોર્ડ મુજબ, ખરીદનાર નિરુબેનની સાથે મૃતક રામીબેન પણ કલેક્ટર સમક્ષ હાજર રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું! સ્પષ્ટ છે કે કલેક્ટર કચેરીમાં રામીબેનના બદલે કોઈ અજાણી નકલી મહિલાને ઊભી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : Vadodara : પ્રેમ લગ્નની અદાવતમાં પતિને માર મારી પત્નીનું અપહરણ કરાયું હોવાનો આક્ષેપ, 10 શખ્સ હથિયારો લઈ ઘરમાં ઘુસી ગયા