શું છે આ ડમી એડમિશનનો ખેલ?
તપાસમાં સામે આવ્યું છે કે જસદણની આલ્ફા સંકુલની આસપાસ એક મોટું નેટવર્ક કાર્યરત હતું. રાજ્યની 31 જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ પોતાના ચોપડે નામ નોંધાવીને, વાસ્તવમાં આલ્ફા સંકુલમાં કોચિંગના નામે ભણતા હતા. શિક્ષણના નામે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડમાં કુલ 697 વિદ્યાર્થીઓનું ડમી રજિસ્ટ્રેશન હોવાનું શિક્ષણ વિભાગની માહિતી પરથી સ્પષ્ટ થયું છે.
આયુષીના મોતથી ખુલ્યા અનેક રહસ્યો
આયુષીના મોતની ઘટના બાદ પરિવારના આક્ષેપો અને તપાસની વ્યાપ વધતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. આ તપાસના એક જ દિવસમાં સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. આયુષીના કિસ્સાએ સાબિત કરી દીધું કે સ્કૂલના નામે ચાલતા આ કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓની કોઈ સુરક્ષા નથી અને તંત્રની મિલીભગત વગર આવું મોટું રેકેટ ચલાવવું અશક્ય છે.
Jasdan: રાજકીય આક્ષેપો અને તપાસનો વ્યાપ
કોંગ્રેસે આ મામલે સત્તાધારી પક્ષ અને શિક્ષણ તંત્ર પર સીધા પ્રહાર કર્યા છે. તંત્રની 'મીઠી નજર' હેઠળ આ કૌભાંડ વર્ષોથી ચાલતું હોવાનો આક્ષેપ થયો છે. શિક્ષણના નામે ચાલતા આ ગેરકાયદે વ્યવસાયે અનેક સવાલો ઉભા કર્યા છે. શું રાજ્યભરમાં આ રીતે અન્ય શાળાઓ પણ ડમી વિદ્યાર્થીઓનું નેટવર્ક ચલાવી રહી છે? આ તપાસ હવે સમગ્ર રાજ્યના શિક્ષણ જગતને ઘેરામાં લઈ શકે તેમ છે.
શિક્ષણ વિભાગની લાલ આંખ, 31 શાળાઓ તપાસ હેઠળ
જસદણની આલ્ફા હોસ્ટેલ દુર્ઘટના બાદ હવે શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જસદણના આલ્ફા કોચિંગ ક્લાસમાં રહેતા વિદ્યાર્થીઓના ડમી એડમિશન મામલે શિક્ષણ વિભાગ સક્રિય બન્યું છે. DEO દિક્ષિત પટેલે સ્પષ્ટ કર્યું છે કે કોચિંગ ક્લાસને કોઈ પણ પ્રકારની માન્યતા આપવામાં આવી નથી. સમગ્ર મામલે તપાસ હાથ ધરતા શિક્ષણ વિભાગ દ્વારા 31 શાળાઓના 697 વિદ્યાર્થીઓની વિગતો એકત્ર કરવામાં આવી છે, જેઓ આ ક્લાસ સાથે જોડાયેલા હોવાની શંકા છે.DEO દિક્ષિત પટેલે જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે તે પ્રાદેશિક નિયામક કચેરીને મોકલી દેવામાં આવી છે. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે વિદ્યાર્થીઓ વાસ્તવમાં પોતાની શાળામાં રેગ્યુલર અભ્યાસ કરતા હતા કે પછી માત્ર ડમી પ્રવેશ મેળવીને કોચિંગમાં રહેતા હતા. રાજકોટ જિલ્લામાંથી પણ 47 વિદ્યાર્થીઓની વિગતો મેળવીને તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ડમી વિદ્યાર્થીઓ પાછળ જવાબદાર કોણ
- 31 શાળાઓ સુધી રેકેટ કેવી રીતે પહોંચ્યું?
- ડમી એડમિશનનો ખેલ ક્યારથી ચાલતો?
- વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કેમ?
- ભૂતિયા શાળાઓ સામે કાર્યવાહી ક્યારે?
- માત્ર આલ્ફા જ કે આખું નેટવર્ક ચાલે છે?
- કોચિંગ-શાળાની સાંઠગાંઠથી ચાલે છે ખેલ?
- લાખોની ફીનો હિસાબ કોણ આપશે?
- વાલીઓ સાથે છેતરપિંડી કોણે કરી?
- જવાબદાર શાળાઓની માન્યતા રદ થશે?
- ડમી એડમિશન પર લગામ ક્યારે લાગશે?
આ પણ વાંચો: Adani Group: અદાણી ગ્રુપ 13મા ક્રમેથી છલાંગ લગાવીને 8મા ક્રમે પહોંચ્યું, બ્રાન્ડ વેલ્યુમાં મોટો ઉછાળો