માથામાં લાકડીના ઘા મારીને માસૂમ સિંહબાળને મોતને ઘાટ ઉતારાયું
જૂનાગઢ વન વિભાગ અને પોલીસ વિભાગ આ મામલે જોઈન્ટ ઓપરેશન ચલાવી રહી છે અને શંકાસ્પદ હત્યારાને પકડવા વન વિભાગ અને પોલીસ એક્શન મોડમાં છે. આરોપીના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા શરૂ કરવામાં આવ્યા છે.
અને જૂનાગઢ વન વિભાગના ડુંગર દક્ષિણ રેન્જ હેઠળ આવતા અને જૂનાગઢ શહેરની નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. જૂનાગઢ વન વિભાગના જણાવ્યા અનુસાર આશરે 7 થી 8 માસની વયનું નર સિંહબાળ મૃત હાલતમાં મળી આવ્યું છે.
શિકારનો હેતુ ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું
વન વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, નખ અને દાંત સહિતના તમામ અંગો સલામત છે, જેથી શિકારનો હેતુ ન હોવાનું પ્રાથમિક રીતે ફલિત થયા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ નિષ્ણાંત પશુચિકિત્સકોની પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે.
સિંહબાળના કપાળ તેમજ પાછળના પગના ભાગે ગંભીર શારીરિક ઇજાઓ જોવા મળી છે અને માથામાં લાકડીનો ઘા વાગવાના કારણે ઇજા થવાથી તેનું મૃત્યુ થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. રબારી નેસનો સ્થાનિક રહેવાસી બાવન પુના ચાવડા આ ગુનામાં મુખ્ય શંકાસ્પદ તરીકે સામે આવ્યો છે.
બાવન પુના ચાવડાનો ફોન બંધ આવી રહ્યો છે
વન વિભાગ દ્વારા આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 ની કડક કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે અને વન વિભાગ અને પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને શંકાસ્પદ આરોપીને ઝડપી પાડવા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાંથી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને ભૌતિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને આરોપી પકડાયા બાદ જ સ્પષ્ટ થશે કે તેણે આ સિંહબાળ પર કયા કારણે આટલો ક્રૂર હુમલો કર્યો હતો.
એક શકમંદની પોલીસ-વન વિભાગ કરી રહ્યું છે તપાસ
સૂત્રો તરફથી એવી પણ વાત સામે આવી છે કે, શહેરના છેવડાના ગણેશનગરમાં ગેરકાયદે લાયન શો થઈ રહ્યાં છે અને એક ટોળકી રાત્રે ગેરકાયદે લાયન શો કરાવે છે અને ગેરકાયદે લાયન શોનો વેપલો પણ ચાલતો હોવાની શંકા છે.
તો શહેરના છેવાડાના વિસ્તારમાં સિંહ પરિવાર કરે છે ભ્રમણ અને સિંહ દર્શન સમયે બાળ સિંહો લોકોને જોઇને ભાગ્યા હશે અને બે સિંહ બાળ દોડતા એક ખુલ્લા કુવામાં પડ્યું હતુ અને એક સિંહ બાળે લોકો ઉપર હુમલો કર્યો હતો જેથી ટોળકીએ બાળ સિંહના માથાના ભાગે ઘા ઝીંક્યા હતા.
સિંહ બાળ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું
સિંહ બાળનું મોત થતા મૃતદેહને ઝાડીમાં ફેંકી શખ્સો ફરાર થયા હોવાનું અનુમાન છે અને બીજી તરફ કુવામાં પડેલા સિંહ બાળનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયું છે. જે પણ આરોપી ઝડપાય તેની સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી માગ ગ્રામજનો તેમજ જીવદયા પ્રેમીઓની છે, જે પણ શખ્સો આ ગેરકાયદે લાયન શો કરાવતા હોય તે સુધરી જજો બાકી વન વિભાગ તમને છોડશે નહી અને જેલના સળિયા ગણવા પડશે તે નક્કી છે.
આ પણ વાંચો : Junagadh માં સિંહ બાળની હત્યાના કેસમાં તપાસનો ધમધમાટ, બાવન પુના ચાવડા નામનો વ્યક્તિ વન વિભાગના શંકાના દાયરામાં