બાતમીના આધારે ટેન્કરને ઝડપ્યું
પોલીસને બાતમી મળી હતી કે જૂનાગઢ તરફથી રાજકોટ તરફ દૂધ ભરેલું એક ટેન્કર આવી રહ્યું છે અને તેમાં ભેળસેળયુક્ત દૂધ હોવાની શક્યતા છે. માહિતીના આધારે એલસીબી અને એસઓજીની ટીમે જેતપુર તાલુકા વિસ્તારમાં વાહન ચેકિંગ ગોઠવી ટેન્કરને રોકી તપાસ હાથ ધરી હતી.
ટેન્કર સાથે એક ઇસમ ઝડપાયો
તપાસ દરમિયાન ટેન્કર ચલાવતા ભરત લોહન નામના ઇસમને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ટેન્કરની તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં દૂધનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને દૂધની ગુણવત્તા અંગે શંકા જતા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં ભેળસેળનો ખુલાસો
ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી દૂધના સેમ્પલ લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં દૂધ ભેળસેળયુક્ત અને માનવ ઉપયોગ માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું હતું. દૂધમાં કઈ પ્રકારની ભેળસેળ કરવામાં આવી હતી તે અંગે વધુ લેબોરેટરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર જથ્થાનો નાશ કરાયો
ફૂડ સેફ્ટીના નિયમો મુજબ ભેળસેળયુક્ત અને અયોગ્ય ગણાયેલા સમગ્ર દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ટેન્કર કબ્જે લઈને સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દૂધ ક્યાંથી ભરાયું હતું અને ક્યાં પહોંચાડવાનું હતું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની આ કાર્યવાહીથી દૂધમાં ભેળસેળ કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના બનાવોમાં વધારો જોવા મળતા તંત્ર વધુ સક્રિય બન્યું છે. પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારી રહ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad: જન્મથી અન્નનળી ન હોવા છતાં બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકશે, જાણો કેવી રીતે તબીબોએ સફળ ઓપરેશન કર્યું?