પોદ્દાર આર્કેડ અને યસ માર્કેટમાં તબાહીના દ્રશ્યો
સુરતના પોદ્દાર આર્કેડ અને શ્યામધામ ચોક નજીકની વંદના સોસાયટીમાં આવેલા કોમર્શિયલ યુનિટ્સમાં પાણી ભરાઈ જતા ગંભીર નુકસાન થયું છે. બેઝમેન્ટથી લઈને પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે મોબાઈલ, ઈલેક્ટ્રોનિક એક્સેસરીઝ, એલઈડી ટીવી અને અન્ય કિંમતી સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો છે. એક વેપારીએ રડતા-રડતા જણાવ્યું કે, "મેં 20 વર્ષની મહેનત કરી આ દુકાન ઉભી કરી હતી, પરંતુ એક જ રાતમાં બધું જ શૂન્ય થઈ ગયું છે."
Surat Flood Business Loss: અડધા ભાવે માલ વેચવા મજબૂર વેપારીઓ
ઘણા વેપારીઓએ તો પોતાની આજીવિકા બચાવવા માટે પલળેલા કપડાં અને અન્ય વસ્તુઓ મૂળ કિંમત કરતા 10 થી 20 ટકાના ભાવે વેચવાનું શરૂ કર્યું છે. એક સમયે જે વસ્તુની કિંમત 500 રૂપિયા હતી, તે હવે 50 રૂપિયામાં વેચવા વેપારીઓ મજબૂર બન્યા છે. ગ્રાહકોની ભીડ વસ્તુઓ ખરીદવા ઉમટી છે, પરંતુ વેપારીના હૃદય પર જે વીતી રહી છે તે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.
DyCM સંઘવીની મુલાકાત અને બદલાયેલ માહોલ
આક્રોશ અને હતાશા વચ્ચે ગયેલા વેપારીઓની વહારે DyCM હર્ષભાઈ સંઘવી આવ્યા હતા. અસરગ્રસ્ત વરાછા વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. જે વેપારીઓએ અગાઉ આક્રોશ ઠાલવ્યો હતો, તેમની પાસે જઈને ડેપ્યુટી સીએમએ ચાની ચુસ્કી માણી અને તેમની સાથે સીધી વાતચીત કરી હતી. મુલાકાત બાદ વેપારીઓએ સ્વીકાર્યું કે, "અમે ખૂબ જ આક્રોશમાં હતા, પણ તંત્ર અને સરકાર દ્વારા લેવાયેલી આ નોંધથી અમને સાંત્વના મળી છે." હવે વેપારીઓને સરકાર તરફથી વિશેષ આર્થિક પેકેજની આશા છે.
બે-બે જોડી કપડાં પૂરા પાડવા સુચના
સુરતના ડીંડોલી વિસ્તારમાં પૂરના કારણે પ્રભાવિત થયેલા લોકોની વહારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા. તેમણે સુમન સ્કૂલમાં આશરો લઈ રહેલા પૂરગ્રસ્તોની મુલાકાત લઈ તેમની હાલત જાણી હતી.આ મુલાકાત દરમિયાન માનવીય અભિગમ દર્શાવતા DyCM એ તંત્રને અસરગ્રસ્તોને તાત્કાલિક બે-બે જોડી કપડાં પૂરા પાડવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે સુરત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અસરગ્રસ્તો સુધી કપડાંની વ્યવસ્થા પહોંચતી કરી હતી.પૂરગ્રસ્તોને હિંમત આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "દરેક પરિવારની સાથે સરકાર મજબૂતીથી ઉભી છે. તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ અને દરેક પ્રકારની મદદ માટે પ્રતિબદ્ધ છીએ."
આ પણ વાંચો: BJP West Bengal candidates : બંગાળમાં મોટો દાવ, TMC છોડનારા ત્રણેય પૂર્વ સાંસદોને ભાજપે બનાવ્યા ઉમેદવાર