ઘરવખરી પલળી જતાં શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં
ફૂલવાડી વિસ્તારમાં પાણીનો ભરાવો એટલો ભયજનક હતો કે અનેક લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરમાં રાખવામાં આવેલી અનાજની સામગ્રી, વીજ ઉપકરણો અને ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે પલળી ગયો છે અને ભારે નુકસાન પહોંચ્યું છે. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિના કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને શ્રમજીવી પરિવારોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો અગાઉથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ પ્રકારની દુર્દશા ન સર્જાત.
24 કલાક વીતવા છતાં પાણી ન સરક્યા
સૌથી ચિંતાજનક બાબત એ છે કે વરસાદ બંધ થયાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં, ફૂલવાડી વિસ્તારના અનેક ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા જ છે. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે સ્થાનિક રહેવાસીઓને ઘરમાં રહેવું તો દૂરની વાત છે, પરંતુ બહાર અવરજવર કરવામાં પણ અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાના પાણીના સ્ત્રોત દૂષિત થવાની અને રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકો અને અસરગ્રસ્ત પરિવારો દ્વારા હવે વહીવટી તંત્ર અને નગરપાલિકા સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે મોટર અથવા અન્ય સાધનો દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે અને નુકસાન પામેલા પરિવારોને યોગ્ય રાહત તથા સહાય પૂરી પાડવામાં આવે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરાય તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : Sabarkantha માં ફાયર ટીમે દેવદૂત બની, ઇડરના ઉમેદગઢ ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા શ્રમજીવીનો જીવ બચાવ્યો