Insurance Sector FDI : વીમા ક્ષેત્રમાં આઝાદી! હવે વિદેશી કંપનીઓ માટે ભારતના દ્વાર ખૂલ્યા, કેન્દ્રની મોટી જાહેરાત
- વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણનો વિસ્ફોટ!
- કેન્દ્ર સરકારે 100% FDI ને આપી લીલી ઝંડી
- હવે વિદેશી કંપનીઓ ખરીદી શકશે સંપૂર્ણ હિસ્સેદારી
- LIC માં રોકાણની મર્યાદા 20% સુધી જ સીમિત
- ભારતીય બજારમાં મૂડીના પ્રવાહમાં થશે જંગી વધારો
Insurance Sector FDI : ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રવર્ધન વિભાગ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રેસ નોટ મુજબ, હવે વિદેશી રોકાણકારો ભારતીય વીમા કંપનીઓમાં 100 ટકા સુધીની હિસ્સેદારી ખરીદી શકશે. અગાઉ આ મર્યાદા ઓછી હતી, પરંતુ હવે વીમા કાયદા (સુધારો) અધિનિયમ 2025 અંતર્ગત આ નીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારો 5 ફેબ્રુઆરી, 2026થી અમલી બની ચૂક્યો છે.
LIC પર વિદેશી નિયંત્રણ નહીં
સરકારે આ નીતિમાં દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) માટે નિયમો અલગ રાખ્યા છે. એલઆઈસીમાં વિદેશી રોકાણની મર્યાદા માત્ર 20 ટકા સુધી જ સીમિત રાખવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી એલઆઈસી જેવી મહત્વપૂર્ણ સંસ્થાનું સંચાલન અને નિયંત્રણ સંપૂર્ણપણે વિદેશી કંપનીઓના હાથમાં ન જાય અને ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ થઈ શકે.
નવા નિયમો અને શરતો
વીમા ક્ષેત્ર (Insurance Sector) માં 100 ટકા એફડીઆઈ (FDI) ની મંજૂરી આપવા છતાં સરકારે નિયમનકારી દેખરેખ કડક રાખી છે. નવી નીતિ મુજબ, કોઈપણ વીમા કંપની જેમાં વિદેશી રોકાણ હોય, તેણે પોતાના મેનેજિંગ ડિરેક્ટર (MD), સીઈઓ (CEO) અથવા ચેરમેન પદે ઓછામાં ઓછા એક ભારતીય નાગરિકની નિમણૂક કરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, વિદેશી હિસ્સેદારીમાં કોઈપણ ફેરફાર માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને ઈરડા (IRDAI) ના માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.
વીમા ક્ષેત્રે આવશે મોટા બદલાવ
આ ક્રાંતિકારી નિર્ણયને કારણે ભારતમાં વીમા બ્રોકર્સ, થર્ડ પાર્ટી એજન્ટો અને પુનઃવીમા ક્ષેત્રમાં મોટા પાયે વિદેશી મૂડી આવશે. નિષ્ણાતોના મતે, આ ફેરફારથી વીમા પ્રીમિયમમાં સ્પર્ધાત્મકતા આવશે અને સામાન્ય જનતાને સસ્તા દરે વીમા પોલિસી ઉપલબ્ધ થઈ શકશે.
આ પણ વાંચો : Gold Silver Price Prediction : સોના-ચાંદીના ભાવ 2 લાખ સુધી પહોંચશે ? નિષ્ણાતોએ આપ્યા ચોંકાવનારા સંકેતો


