Indra Nooyi Statement: ભારતમાં હોત તો પ્રગતિ અશક્ય હતી
હૂવર ઇન્સ્ટિટ્યુશનને આપેલા એક ઇન્ટરવ્યુમાં પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈએ એવું નિવેદન આપ્યું કે, અમેરિકાની ગુણવત્તા આધારિત વ્યવસ્થાએ તેમને એ સ્થાન અપાવ્યું જે કદાચ ભારતમાં શક્ય ન હતું. તેમના મતે કોઈ પરપ્રાંતીય ખાલી હાથે અમેરિકા આવે છે, અને એક પ્રતિષ્ઠિત અમેરિકન કંપનીનો સીઈઓ બની જાય છે, તેવી વ્યવસ્થા દુનિયાના અન્ય કોઈ દેશમાં નથી. એટલું જ નહીં પણ તેમણે એવું પણ કહ્યું કે, જો તે ભારતમાં હોત તો આ પદ સુધી પહોંચી શક્યા ન હોત.
Indra Nooyi Statement: ચીનની સગવડ અને ભારતની અવ્યવસ્થા!
ભારત અને ચીનની તુલના કરતા નૂઈએ કહ્યું કે એક પ્રવાસી તરીકે ચીનમાં રહેવું ભારત કરતા વધુ સરળ છે. તેમણે ઉમેર્યું કે, જો તમને સ્વચ્છ અને વ્યવસ્થિત જીવન પસંદ હોય તો ભારતમાં રહેવું મુશ્કેલ બની શકે છે. ભારતની સુંદરતા તેની અવ્યવસ્થામાં જ છુપાયેલી છે. જો કોઈને તે પસંદ આવી જાય તો તે વારંવાર ભારત આવવા ઈચ્છે છે. તેમણે રસ્તાઓ પર વાહનોની વચ્ચે ફરતી ગાયોનું ઉદાહરણ આપીને કહ્યું કે, ભારતીયો આ માહોલમાં પણ પોતાનો રસ્તો શોધી લે છે.
મહિલાઓ માટે તકોની મર્યાદા
ઈન્દિરા નૂઈએ પોતાના બાળપણના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, 1960 અને 1970 ના દાયકાનું ભારત આજ કરતા ઘણું અલગ હતું. તે સમયે મહિલાઓની સામાજિક ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી. મોટાભાગની મહિલાઓ ઘરકામ સુધી જ સીમિત રહેતી હતી. જોકે તેમના પિતા અને દાદાએ તેમને હંમેશા મોટા સપના જોવા અને આગળ વધવા પ્રેરણા આપી હતી, જેના કારણે તેઓ અમેરિકા જઈને પોતાની આગવી ઓળખ બનાવી શક્યા.
લોકશાહી ભારતની સૌથી મોટી શક્તિ
ઈન્દિરા નૂઈ એટલેથી નથી અટકતા, તે કહે છે કે, ચીને તેની કેન્દ્રીકૃત વ્યવસ્થાના કારણે ઝડપી વિકાસ કર્યો છે, જ્યારે ભારતમાં લોકશાહી હોવાથી નિર્ણયો લેવામાં વધુ સમય લાગે છે. આ છતાં તેમણે ભારતીય લોકશાહીના વખાણ કરતા કહ્યું કે, લોકતાંત્રિક વ્યવસ્થામાં સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ શક્ય બને છે. અને આ જ દેશની સૌથી મોટી શક્તિ છે. તેમણે ભારત અને અમેરિકાને કુદરતી ભાગીદાર ગણાવ્યા છે. ભારત પાસે યુવા વસ્તી, અંગ્રેજી બોલતા લોકો તેમજ સોફ્ટવેર, એન્જિનિયરિંગ અને એઆઈ ક્ષેત્રે અદ્ભુત પ્રતિભા હોવાથી તે અમેરિકાનો મહત્વનો વ્યૂહાત્મક ભાગીદાર બની શકે છે.
કોણ છે ઈન્દિરા નૂઈ?
નોંધનીય છે કે, ઈન્દિરા નૂઈની ગણતરી વિશ્વના સૌથી સફળ કોર્પોરેટ લીડર્સમાં થાય છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. આઈઆઈએમ કલકત્તામાંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી પેપ્સિકોના સીઈઓ અને ચેરપર્સન રહ્યા હતા. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ કંપનીએ વૈશ્વિક સ્તરે વેપારનો મોટો વિસ્તાર કર્યો હતો.
આ પણ વાંચો---- EPFO PF Interest Credit : પીએફ ધારકો માટે મોટા સમાચાર, આ દિવસથી ખાતામાં જમા થશે વ્યાજ