10,000 થી વધુના ઓનલાઇન ટ્રાન્સફર પર એક કલાકનો કૂલિંગ-ઓફ પિરિયડ
દેશના બેંકિંગ ઉદ્યોગે આરબીઆઈના આ સુરક્ષા પગલાને આવકાર્યો છે, પરંતુ સાથે જ સામાન્ય જનતાની સુવિધા અને તકનીકી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આરબીઆઈએ પોતાના ચર્ચા પત્રમાં સૂચવ્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિગત ગ્રાહક કે ભાગીદારી પેઢી ₹10,000 થી વધુનું ડિજિટલ પેમેન્ટ શરૂ કરશે, ત્યારે તે વ્યવહારને પૂર્ણ થતાં પહેલાં એક કલાકનો વિરામ આપવામાં આવશે. આ વિલંબ માત્ર પૈસા મોકલનાર (Payer) ના સ્તરે જ લાગુ થશે, જેથી ગ્રાહકને વિચારવાનો સમય મળી રહે.
નિયમોમાં લવચિકતા હોવી ખૂબ જરૂરી, નિષ્ણાંતોનો મત
આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા કિસ્સાઓને રોકવાનો છે જ્યાં સાયબર ગુનેગારો લોકોને ડરાવીને કે લાલચ આપીને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરાવી લે છે, જેને ટેકનિકલ ભાષામાં ‘ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ’ ફ્રોડ કહેવામાં આવે છે. જો કે, બેંકિંગ નિષ્ણાતોનું કહેવું છે કે આ નિયમમાં લવચીકતા (Flexibility) હોવી ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક દુકાન પર જઈને મોંઘો મોબાઈલ ખરીદે અને ત્યાં પેમેન્ટ ક્લિયર થવા માટે એક કલાક રાહ જોવી પડે, તો રોજિંદા વેપાર પર તેની અત્યંત નકારાત્મક અસર પડી શકે છે.
70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 'ટ્રસ્ટેડ પર્સન' ની અનિવાર્ય મંજૂરી
રિઝર્વ બેંકે વૃદ્ધો અને દિવ્યાંગોના નાણાંને સુરક્ષિત રાખવા માટે વધુ એક વિશેષ વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂક્યો છે. 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો દ્વારા કરવામાં આવતા ₹50,000 થી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે 'ટ્રસ્ટેડ પર્સન' (ભરોસાપાત્ર વ્યક્તિ) ની વધારાની મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે. આ નિયમ હેઠળ, વરિષ્ઠ નાગરિકો દ્વારા અગાઉથી નક્કી કરાયેલા કોઈ સગા કે મિત્રએ પેમેન્ટ પૂર્ણ થતાં પહેલાં ડિજિટલ સંમતિ આપવી પડશે. જો આ ભરોસાપાત્ર વ્યક્તિને બદલવામાં આવે, તો સુરક્ષા ખાતર 24 કલાકનો ફરજિયાત કૂલિંગ-ઓફ પિરિયડ લાગુ થશે.
ગ્રાઉન્ડ લેવલ પર લાગુ કરવામાં સર્જાઈ શકે છે મુશ્કેલી
બેંકોએ આરબીઆઈની આ માનવીય સોચની પ્રશંસા કરી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તેને લાગુ કરવામાં મોટી મુશ્કેલીઓ જોઈ છે. બેંકોની દલીલ છે કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોસ્પિટલ કે કટોકટીની સ્થિતિમાં ઇમરજન્સી પેમેન્ટ કરી રહી હોય અને તે સમયે તેમનો નોમિનેટેડ વ્યક્તિ (પુત્ર કે પુત્રી) કોઈ કારણસર ઉપલબ્ધ ન હોય, તો વાસ્તવિક અને અત્યંત જરૂરી ચૂકવણીમાં પણ વિલંબ થઈ શકે છે, જે કોઈના જીવન માટે સંકટ સમાન સાબિત થઈ શકે છે.
ભારતીય બેંકો સામે ઉભો થયેલો કરોડો રૂપિયાનો આર્થિક અને ટેકનિકલ બોજ
આ નવા સુરક્ષા તંત્રને વાસ્તવિકતામાં બદલવા માટે બેંકોએ પોતાના વર્તમાન ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ મોટા પાયે ફેરફારો કરવા પડશે. બેંકોએ નવી ટ્રાન્ઝેક્શન કતાર (Queues) બનાવવી પડશે, કૂલિંગ-ઓફ વિન્ડો દરમિયાન ટ્રાન્ઝેક્શન કેન્સલ કરવાની નવી સુવિધા આપવી પડશે અને સેટલમેન્ટની આખી પ્રક્રિયાને નવેસરથી કોડ કરવી પડશે. બેંકિંગ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવી વ્યવસ્થાઓ લાગુ કરવામાં બેંકો પર ભારે આર્થિક બોજ આવશે.
ડિજીટલ સુરક્ષા અને ગ્રાહકોની સુવિધા વચ્ચે સંતુલન જરૂરી
આ ચિંતા ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે બેંકો પહેલેથી જ યુપીઆઈ (UPI) પર ઝીરો-મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ને કારણે નાણાકીય દબાણ હેઠળ છે. ભારતનું ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ વિશ્વમાં સૌથી અનોખું અને ઝડપી છે. આરબીઆઈએ બ્રિટન, સિંગાપોર અને અમેરિકા જેવા દેશોના વૈશ્વિક અનુભવો જોઈને આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. પરંતુ ભારતીય બેંકોનું કહેવું છે કે દેશની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ અંતિમ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે, જેથી ડિજિટલ સુરક્ષા અને ગ્રાહકોની સુવિધા વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે.
આ પણ વાંચો : Employee confronts HR salary: પૂરો મહિનો કામ કર્યું, અને મળ્યા માત્ર 3800!, કર્મચારી-HR વચ્ચે વિવાદનો વીડિયો વાયરલ