ભારતીય કંપનીઓમાં 1 કરોડથી વધુ નોકરીની તક સર્જાશે, જાણો રસપ્રદ સર્વે
- નવા વર્ષે નોકરીની નવી તકો ખુલશે
- અગ્રણી કંપની દ્વારા આ વાતની પુષ્ટિને સમર્થન
- સમય સાથે રોજગારીની માંગ બદલાઇ
Teamlease Predicts Millions Jobs Creation In India 2026 : સ્ટાફિંગ સર્વિસીસ ફર્મ ટીમલીઝ (Teamlease) ના એક નવા અહેવાલ મુજબ, ભારતીય કંપનીઓ 2026 માં 1 કરોડથી વધુ નવા કર્મચારીઓની ભરતી કરે તેવી શક્યતાઓ સામે આવી છે. આ આંકડો 2025 માં અંદાજિત નોકરીઓ કરતા નોંધપાત્ર રીતે વધારે છે, જેનો અર્થ એ કે, નવું વર્ષ જોરદાર શક્યતાઓને લઇને આવનાર છે. અત્રે નોંધનીય છે કે, EY, ટાટા મોટર્સ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડિયાજિયો અને મોતીલાલ ઓસ્વાલ જેવી અગ્રણી કંપનીઓના HR દ્વારા પણ આ ભરતીની પુષ્ટિ કરવામાં આવી રહી છે. આ કંપનીઓ માત્ર ભરતી પર જ નહીં, પરંતુ વિવિધતા, સર્વસમાવેશી અને કેમ્પસ ભરતી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
અનુભવથી વધારે વસ્તુઓ પર ભાર મુકાશે
નિષ્ણાતોના મતે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઉત્પાદન વૃદ્ધિ, EV ક્ષેત્ર અને AI અને ડેટા સાયન્સ જેવી નવી ટેક્નિકોના કારણે ભારતમાં કંપનીઓને નવી પ્રતિભાની સખત જરૂર છે. વધુમાં, કોવિડ પછીના અર્થતંત્રની સ્થિરતા અને વધતી માંગના કારણે પણ ભરતીમાં વધારો થયો છે. ટીમલીઝનો અહેવાલ સૂચવે છે કે, કંપનીઓ ફક્ત અનુભવ જ નહીં, પણ નવી કુશળતા અને પ્રતિભા પર વધુને વધુ આધાર રાખી રહી છે.
નવી કુશળતાઓને પ્રાથમિકતા મળશે
EY India એ પુષ્ટિ કરીછે કે, તે તેના નાણાકીય વર્ષ 2026 (જૂન 2026 માં સમાપ્ત થતા) સુધીમાં 15,000 નવા કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન ધરાવે છે. EY ના ચીફ એચઆર ઓફિસર આરતી દુઆના જણાવ્યા અનુસાર, કેમ્પસ હાયરિંગ હંમેશા કંપનીની ભરતી વ્યૂહરચનાનો મજબૂત આધારસ્તંભ રહ્યો છે, અને રહેશે. દરમિયાન, ડિયાજિયો ઇન્ડિયા નવી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની ખાસ કરીને કાર્યબળમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સપ્લાય ચેઇન અને મહિલા કર્મચારીઓની ભાગીદારી વધારવા પર કામ કરી રહી છે. આનો સીધો લાભ ડિજિટલ અને ઓપરેશન્સ-સંબંધિત કુશળતા ધરાવતા વ્યાવસાયિકોને થશે.
AI થી લઇને એન્જિનિયરીંગ સુધીમાં તક ખુલશે
ટાટા મોટર્સની ભરતી વ્યૂહરચના તૈયાર છે. કંપની બેટરી ટેકનોલોજી, સોફ્ટવેર-આધારિત વાહનો, હાઇડ્રોજન ઇંધણ, એન્જિનિયરિંગ અને R&D સંબંધિત ભૂમિકાઓ માટે મોટા પાયે ભરતી કરશે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર, સીતારામ કાંડીના જણાવ્યા અનુસાર, આ ક્ષેત્રો આગામી વર્ષોમાં ટાટા મોટર્સના વિકાસ અને ભરતીનું નેતૃત્વ કરશે. દરમિયાન, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માત્ર નોકરીઓ પર જ નહીં પરંતુ વિવિધતા અને સમાવેશ પર પણ મજબૂત પગલાં લઈ રહી છે. કંપની નાણાકીય વર્ષ 27 સુધીમાં તેના કાર્યબળમાં 33% પ્રતિનિધિત્વ (દિવ્યાંગ વ્યક્તિઓ, LGBTIQA+ અને cis-women) નું લક્ષ્ય રાખી રહી છે, જે હાલમાં 31% છે.
મહિલાઓનું નેતૃત્વ વધારાશે
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ 2026 માં મોટાપાયે ભરતી માટેની તૈયારીઓ કરી રહી છે. કંપની ટેકનોલોજી, ડેટા સાયન્સ અને AI સપોર્ટ ફંક્શન્સ સહિત તમામ વ્યવસાયિક લાઇનમાં ભરતી કરશે. ગ્રુપ CHRO નિરેન શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, કંપની મહિલા નેતૃત્વ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વલણ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ભારતીય કંપનીઓ માત્ર કર્મચારીઓની સંખ્યા જ નહીં, પણ ગુણવત્તા, કુશળતા અને વિવિધતાને પ્રાથમિકતા આપી રહી છે.
આ પણ વાંચો ------- Gold Silver Rate Prediction: 2026માં કયા મહિનામાં સોનું સૌથી સસ્તું મળશે? જાણો અનુમાન


